રાષ્ટ્રીય

વડોદરાની એમએસ યુનિ.માં હિન્દુ સ્ટડીઝનો કોર્સ શરૂ થશે

છેલ્લાં ૨૦૦ વર્ષથી ભારતના ઇતિહાસ અને જ્ઞાન પ્રણાલી પર પશ્ચિમના વર્ચસ્વના કારણે હિન્દુ ફિલસૂફીના સાચા સ્વરૂપનું પક્ષપાતી અને અપૂર્ણ નિરુપણ કર્યું છે. મહત્ત્વપૂર્ણ પરંપરાઓ અને ગ્રંથો જેમ કે વેદ, રામાયણ, મહાભારત અને અન્યોને સંસ્થાનવાદી વહીવટકર્તાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્ત્વને રદ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછીના સમયગાળામાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પશ્ચિમી પ્રભાવ પ્રવર્તતો રહ્યો એટલા માટે કોઇ મોટા ફેરફારો રજૂ કરવામાં આવ્યા ન હતા. હાલ ભારત સરકારે ૨૦૧૯માં નવી શિક્ષણ નીતિ રજૂ કરી છે. જે આવી વિસંગતતાઓને સુધારવા માટે મૂલ્યવર્ધિત અભ્યાસક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં ભારત કેન્દ્રિત જ્ઞાન પરંપરા પર વધુ ભાર મૂકવામાં આવે છે.

નવી શિક્ષણ નીતિના આ ધ્યેય મુજબ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ હિન્દુ સ્ટડીઝનો સમગ્ર ભારતમાં પ્રથમ સ્નાતક કોર્સ શરૂ કર્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થી વ્યક્તિ, કુટુંબ, સંબંધો, સમાજ, રાજ્ય, પર્યાવરણ અને સમગ્ર બ્રહ્માંડની હિન્દુ વિભાવનાઓને સમજવામાં મદદ કરશે. આ કાર્યક્રમ વિવિધ આંતરશાખાકીય વિષયો પ્રદાન કરે છે જેમ કે ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કાયદો, સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, શિક્ષણ, કળા, નીતિશાસ્ત્ર, સાહિત્ય, નાટક, ભાષાશાસ્ત્ર, આયુર્વેદ અને યોગશાસ્ત્રનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.બે વર્ષના માસ્ટર્સના અભ્યાસક્રમનો હેતુ હિન્દુ ધર્મ અને તેની આધ્યાત્મિક પરંપરાઓ પરના જ્ઞાનના સ્રોત પૂલને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ થશે.

માસ્ટર પ્રોગ્રામ ઝડપથી બદલાતી તકનીકી અને વૈશ્વિક માહિતી સમાજમાં હિન્દુ અભ્યાસના મહત્ત્વને દર્શાવવા માટે તૈયાર કરાયો છે. હિન્દુ દર્શનનો પરિચય, યોગશાસ્ત્રનો પરિચય, હિન્દી, અંગ્રેજી, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત,એડવાન્સ સંસ્કૃત,પર્યાવરણ વિજ્ઞાન,વેદોનો પરિચય,ઉપનિષદોનો પરિચય, આધુનિક ભારત (૧૭૦૭-૧૮૫૭),ભારતનું રાષ્ટ્રીય આંદોલન, હિન્દુ મનોવિજ્ઞાન, ભગવદ ગીતાનો પરિચય, રામાયણ, મહાભારતનો પરિચય,પુરાણ પરિચય,આધુનિક વિશ્વનો ઇતિહાસ,દક્ષિણ-પૂર્વ એશિયામાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ન્યાય વ્યવસ્થા, આયુર્વેદનો પરિચય,ધર્મશાસ્ત્રમાં આચાર,ભક્તિ ચળવળ, શૈવ, વૈષ્ણવ અને શક્તિ પરંપરા, બુદ્ધ તથા જૈન પરંપરા. ભારતનું સાંસ્કૃતિક પ્રવાસન, નાટ્યશાસ્ત્રનો પરિચય, ઇસ્લામ અને ખિસ્તી ધર્મનો પરિચય અને દક્ષિણ એશિયામાં ફેલાવો,કાવ્યશાસ્ત્રનો પરિચય,પુનર્જન્મ, બંધન, મોક્ષ વિમર્સા સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ કરાવાશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા બી.એ. અને એમ.એ. હિન્દુ સ્ટડીઝના અભ્યાસક્રમને મંજૂરી આપી છે. ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને વર્તમાન સંદર્ભમાં હિન્દુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે. નવા સત્રથી કોર્સ ભણાવાશે.

Related Posts