ગુજરાત

વડોદરામાં ઓમિક્રોના વધાતા કેસ વચ્ચે આરોગ્ય વિભાગ દોડતું થયું

રાજ્યમાં હવે આમિક્રોન વેરિઅન્ટ હવે પગ પસારી રહ્યો છે. વડોદરા શહેરમાં ગુરુવારે એક જ દિવસમાં ૭ લોકોના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું હતું. આ તમામ દર્દીઓ હરણી રોડ વિસ્તારમાં ઝામ્બિયાથી આવેલા ઓમિક્રોન પોઝિટિવ વૃદ્ધ દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હતા. આ દંપતી ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં વડોદરા આવ્યું હતું. હાલમાં ખાનગી દવાખાનામાં વૃદ્ધ દંપતીની સારવાર ચાલી રહી છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા હતા.

આ કેસ પૈકીનો ૧ કેસ દોડકા ગામે આવ્યો હતો. જ્યારે શહેરના ગોત્રી, એકતાનગર, કપુરાઇ, ગોરવા અને છાણીમાં નવા કેસો આવ્યા હતા. બીજી તરફ ગુરુવારે ૭ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનમાં ૨ અને ઉત્તર ઝોનમાં ૭ નવા કેસ ઉમેરાયા હતા. અત્યાર સુધી શહેર-જિલ્લામાં ૭૨,૫૬૨ લોકોને કોરોના થઇ ચૂક્યો છે. હાલમાં ૧૦૧ દર્દીઓ એક્ટિવ સારવાર હેઠળ છે, જેમાંથી ૫ને ઓક્સિજન પર અને ૨ને વેન્ટિલેટર બાયપેપ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે કોરોનાને લીધે ૩૮૪ લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ ગુરુવારે નોંધાયો ન હતો. હાલમાં મ્યુકોરમાઇકોસિસના ૪ દર્દીઓ એસએસજીમાં સારવાર લઇ રહ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૫૬૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૮૧, ઉત્તર ઝોનમાં ૧૧,૮૯૬, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૯૭, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૧૧ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૩૬ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૫૬૨ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૮૩૮ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.

ગુરુવારે પોઝિટિવ આવેલા ૭ પૈકી એક વૃદ્ધા અને ૫થી ૧૧ વર્ષનાં ૩ બાળકોનો સમાવેશ થાય છે. વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં આ નવા ૭ ઓમિક્રોન પોઝિટિવને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, તેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ તમામને છેલ્લા એક અઠવાડિયાથી હોમ આઇસોલેશનમાં જ રાખવામાં આવ્યા હતા. તેથી તેઓ કોઇ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોય તેવી શક્યતા ઓછી છે. આ સાથે વડોદરા શહેરમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૧૦ પર પહોંચી ગઇ છે.

Related Posts