ગુજરાત

વડોદરામાં ૨૦૦થી વધુ પ્રવાસી હાઈરિસ્ક દેશમાંથી આવ્યા:૭ દિવસ ક્વોરન્ટીન કરાયા

વડોદરા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના ૫ નવા કેસ નોંધાયા છે. આ કેસો શહેરના પશ્ચિમ વિસ્તારના સુભાનપુરા અને અકોટામાં ત્રણ અને બાકીના દક્ષિણ ઝોનના તરસાલી અને મકરપુરામાં એક એક કેસ નોંધાયો હતો. શનિવારે ૬૦૭૨ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં શહેરમાં ૫૨ દર્દીઓ કોરોનાની સક્રિય સારવાર હેઠળ છે, જેમાંથી ૪ને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર અથવા બાયપેપ પર રાખવામાં આવ્યો છે. શહેરમાંથી ૫ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. શનિવારે મ્યુકોરમાઇકોસિસનો નવો દર્દી દાખલ કરવામાં આવ્યો હતો. હાલમા સયાજી હોસ્પિટલમાં ૬ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યાં છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૩૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૦૧ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૯૬, ઉત્તર ઝોનમાં ૧૧,૮૪૮, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૫૬, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૯૦ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. ગત ૨૩થી અત્યાર સુધી વડોદરામાં ૯૭૯ વિદેશી પ્રવાસીઓ આવી ચૂક્યા છે, જેમાં મૂળે વડોદરાના જ મોટાભાગના લોકો છે. આ તમામના રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે. આ વિશે પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકોમાં ૨૮૫ પ્રવાસીઓ એવા છે જે ઓમિક્રોન માટેના હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. આ તમામના રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે અને સાત દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં ૪૯૬ પ્રવાસીઓ આવ્યા છે જેમાંથી ૨૦૦ હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨,૩૪૪ પર પહોંચી છે અને વધુ ૬ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૭૧,૬૬૯ ઉપર પહોંચી ગઇ છે.છેલ્લા ૪ દિવસમાં ૨૦૦ પ્રવાસી હાઇરિસ્ક દેશમાંથી વડોદરા આવ્યા છે. તમામને સાત દિવસ ક્વોરન્ટીન કરાયા છે.

Related Posts