વડોદરામાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના જધન્ય ગુનામાં જેલમાં મોતની રાહ જાેતા ફાંસીના કેદીએ આજે વડોદરા સેન્ટ્રલ જેલના શૌચાલયમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામની સીમમાં વર્ષ – ૨૦૧૯ માં નવી બંધાતી એકલવ્ય સ્કૂલના બાંધકામમાં મજૂરી કરતા શ્રમજીવીઓ નજીકમાં જ પડાવ નાંખી રહેતા હતા. એક શ્રમજીવી પરિવાર દિવસે મજૂરી કરી રાતે પડાવમાં સૂઇ ગયા હતા. રાતે દશ વાગ્યે પડાવથી દૂર દાહોદવાળા શ્રમજીવીઓના પડાવમાં છોકરા – છોકરી બાબતે ઝઘડો ચાલતો હતો.
તે સમયે આરોપી સંજય છત્રસિંહ બારિયા ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું કે, તમારા વાળા લડયા છે. જેથી, માતા પોતાની ૮ વર્ષની બાળકીને સૂતી મૂકી ઝઘડાવાળા સ્થળ પર ગઇ હતી. રાતે ૧૧ વાગ્યે મહિલા પરત આવી ત્યારે તેની દીકરી ગૂમ હતી. તેણે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. ૮ વર્ષની બાળકી અને આરોપી સંજય બંને ગૂમ હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી. સવારે ૮ વાગ્યે મગનપુરા ગામની સીમમાં ગિરીશભાઇ પટેલના ખેતરના છેડા પરથી બાળકીની લાશ મળી આવી હતી.
આરોપી સંજયે ૮વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી હતી. અદાલતમાં કેસની ટ્રાયલ દરમિયાન અદાલતે નોંધ્યું હતું કે, આરોપીની વર્તણૂંક અને તેના ચહેરા પરના ભાવ જાેતા તેમાં કોઇ સુધારો આવે કે તેનું સમાજમાં પુન સ્થાપન થાય તેવા સંજાેગો જણાઇ આવતા નથી. જેથી,સાવલીના સ્પેશ્યલ જજ જે.એ. ઠક્કરે આરોપીને ફાંસીની સજા આપી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેતો કેદી સંજય છત્રસહિં બારિયા (રહે. મગનપુરા ગામ, તા.વાઘોડિયા,જિ.વડોદરા)એ આજે મળસ્કે જેલના શૌચાલયમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. અન્ય કેદીને જાણ થતા તેણે જેલ સત્તાધીશોને જાણ કરી હતી. કેદીએ કપડા સૂકવવાની દોરી અને નેપકિનનો ઉપયોગ કરી ફાંસો ખાઇ લીધો હતો. જાેકે, આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.
Recent Comments