અમરેલી

વાવાઝોડાનાં કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકસાનીનું તત્‍કાલ વળતર ચુકવો :વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકસાનીનું વળતર સત્‍વરે ચુકવવા અંગે વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આજરોજ મુખ્‍યમંત્રીને પત્ર લખી માંગણી કરી હતી.

વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અરબી સમુદ્રમાંથી ઉદભવેલ તૌકતે વાવાઝોડાનાં કારણે સૌરાષ્‍ટ્રના ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી વગેરે જિલ્‍લાઓ અતિશય પ્રભાવિત થયેલ છે અને આ જિલ્‍લાઓમાં અત્‍યંત તારાજી સર્જી છે. સદર વાવાઝોડાએ કૃક્ષિ ક્ષેત્રે ખૂબ મોટો વિનાશ સજર્યો છે. આ તારાજીના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોના કૃષિ પાકો સાફ થઈ ગયા છે અને બાગાયતી પાક ઝાડ સહિત 100% નાશ પામ્‍યા છે.

સરકારના મહેસુલ વિભાગના તા. ર7/4/1રનાં સંકલિત ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે થતા માનવ મૃત્‍યુ, પશુ મૃત્‍યુ/ઈજા તેમજ સ્‍થાવર-જંગમ મિલ્‍કતને થતા નુકસાન માટે નાણાંકીય સહાય ચુકવવાના ધોરણો નકકી થયેલ છે. આ ધોરણોમાં કૃષિ સહાય અંગે પિયત/બિનપિયત જમીનો બે હેકટર અને બે હેકટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ હેકટર સહાય નકકી કરેલ છે. જે દર વર્ષમાન સંજોગોમાં અપૂરતા છે. સદરઠરાવમાં કેરી સહિતના બાગાયતી પાકોનો સમાવેશ કરવામાં આવેલ નથી.

તૌકતે વાવાઝોડાને કારણે ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી જિલ્‍લાનાં મોટાભાગના ખેડૂતો કે જે કેસર કેરીના પાક પર નિર્ભર છે તેવા ખેડૂતોના કેરીનો પાક 100% નાશ પામેલ છે, ખૂબ મોટા પ્રમાણમાં આંબાના વૃક્ષો પણ નાશ પામેલ છે. જેના કારણે આવા ખેડૂતો આગામી દસ વર્ષ સુધી બેઠા થઈ શકશે નહી અને આવા બાગાયતી પાક પર નભતા ખેડૂતો ખસ વર્ષ સુધી આવક લઈ શકશે નહીં.

મુખ્‍ય બાગાયતી કેરીના પાક અંગે ખેડૂતોને આંબાના રોપ રૂા. રપ0, ખાડો ખોદવા માટે રૂા. 80, વાવેતર માટે રૂા. 80, દવા, ખાતર માટે રૂા. રપ, પાણી તથા મજુરી ખર્ચ પેટે રૂા. 100 મળી કુલ રૂા. પ00 પ્રતિ આંબાદીઠ વાવવાનો ખર્ચ થાય છે. 10 વર્ષના આંબાની કેરીની આવક પ્રતિ વર્ષ આંબાદીઠ 700 કિલો × રૂા. 40 પ્રતિ કિલો ભાવ ગણતાં કુલ રૂા. ર8,000 એક આંબાદીઠ કમાણી થાય. એટલે 10 વર્ષની કમાણી 10 વર્ષ ઘ રૂા. ર8,000 પ્રતિ વર્ષ કુલ રૂા. ર,80,000 થાય. બાગાયતી પાક કેરી પર નભતા ખેડૂતોને થયેલ નુકસાન અન્‍વયે આ મુજબ સહાય ચુકવવાની થાય. જેથી બાગાયતી પાક કેરી અને આંબાના ઝાડને થયેલ નુકસાનનો યુઘ્‍ધના ધોરણે સર્વે કરાવી, આવા બાગાયતી પાક પર નભતા ખેડૂતોના હિતમાં યોગ્‍ય નિર્ણય કરી,સૂચવ્‍યા મુજબનું વળતર સમયમર્યાદામાં ચુકવવા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ રાજય સરકાર સમક્ષ માંગણી કરી હતી.

Related Posts