ભાવનગર

વિધવા સહાય, પ્રધાનમંત્રી વીમા સહાય યોજના, માં અમૃતમ કાર્ડ સહિતના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું

સરકારી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય બાબતો વિષેની જાણકારી અપાઇ

૦૦૦૦૦૦

        જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શિહોર તાલુકાના વળાવડ ગામે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવા સાથે આ લાભ મેળવવાપાત્ર લાભાર્થીઓને જે- તે સેવાના આદેશો આપવામાં આવ્યાં હતાં.

ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી પી. પી. શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભો આપવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત તેમણે ગ્રામજનોને તેમનાં કાનૂની હક્કો અને કાયદાકીય રક્ષણ તથા સલાહ માટે કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તેમજ આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને કઈ રીતે લાભ મળી શકે તે વિશેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

આ કેમ્પમાં વિધવા સહાય, પ્રધાનમંત્રી વીમા સહાય યોજના, માં અમૃતમ કાર્ડ સહિતના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામના સરપંચશ્રી સુરાભાઈ કરમટીયા દ્વારા સ્વાગત પ્રવચન કરી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ કઈ રીતે મેળવી શકાય અને આ કાર્ય માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે વળાવડ ગામમાં યોજવામાં આવેલ કેમ્પની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં ઉપ સરપંચશ્રી વિનોદરાય મહેતા,નાયબ મામલતદારશ્રી મોરીભાઈ,  મંત્રીશ્રી કૈલાસબેન ઉલવા, પાયલબેન રમણા, આચાર્યશ્રી તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઈ પંડિત તથા રામદેવસિંહ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,વળાવડની ટીમ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં

Related Posts