વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ અન્વયે અમરેલીના સોનારીયા મુકામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ છેવાડાના ગરીબ, વંચિત લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે. સાંસદ શ્રી નારમભાઈ કાછડીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીના સોનારીયા મુકામે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments