ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારની મોડી રાતથી ભાદરવાનો ભરપૂર વરસાદ વરસવાનો શરૂ થયો છે અને ૨૪ કલાકના સમયગાળામાં ભાવનગર શહેર અને જિલ્લામાં એકથી સાડાત્રણ ઇંચ વરસાદ વરસી જવાથી મૂરઝાઇ રહેલાં કપાસ, મગફળી, તલ, બાજરા સહિતના પાકોને નવજીવન મળ્યું હતું. લાંબા સમય બાદ સારોએવો વરસાદ વરસતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશીના ભાવ જાેવા મળ્યા હતા, સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ છે. ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૬૦ મિમી એટલે કે સીઝનના ૧૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ગઇ કાલ સુધીમાં સીઝનનો કુલ વરસાદ ૫૧ ટકા હતો, પણ છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬૦ મિમી વરસાદ વરસી જતાં જિલ્લામાં વર્ષના કુલ એવરેજ વરસાદ ૫૯૫ મિમીની સામે આજે સાંજ સુધીમાં ૩૬૧ મિમી, એટલે કે ૬૧.૬૦ ટકા વરસાદ વરસી ગયો છે.ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે.
શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જાેવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૨ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત ૧૭ ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારીએ જણાવ્યું હતું કે શેત્રુંજી ડેમ મોડી રાતે ૨ઃ૧૦ વાગ્યા આસપાસ ૨૦ દરવાજા અને બાકીના સવારે તમામ ૩૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા,
જેને પગલે તંત્ર દ્વારા ૧૭ ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી ૧૫,૩૪૦ કયૂસેક પાણીની જાવક થઈ રહી છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થયો હતો, ત્યાર બાદ ચાલુ વર્ષે ઓવરફ્લો થતાં ૨ ફૂટ દરવાજા ખોલવામાં આવતાં ૧૫,૩૪૦ ક્યૂસેક પાણીની જાવક ચાલુ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારિયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. એની સાથોસાથ ભાવનગર જિલ્લાનાં અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે.
Recent Comments