અમરેલી

સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છુક અમરેલી જિલ્લાના યુવાઓ માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન

 રાજ્યના યુવાનો સંરક્ષણ દળમાં ભરતી થાય અને તેમને તે માટે યોગ્ય માર્ગદર્શન અને દિશાઓ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે. સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છુક હોય તે ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિઃશુલ્ક ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ-૨૦૨૪નું આયોજન છે. ઉમેદવારોને રહેવા તથા જમવાની સવલત સાથે શારીરિક અને લેખિત કસોટીની તાલીમ આપવામાં આવશે. ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ સુધી હોય અને ધો.૧૦ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમ વર્ગમાં જોડાવવા માટે અરજી કરવી. નિયત અરજી ફોર્મ અમરેલી જિલ્લા રોજગાર કચેરી અથવા ચેનલ @EMPARELI પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.

ઉમેદવારોએ અરજી દિન-૭માં જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે મોકલવી. અરજી પત્રક સાથે ધો.૧૦ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સહિતના સાધનિક દસ્તાવેજોની નકલ જોડવી. આ અંગેની વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરીના ટેલિફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૩૯૪ સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts