અમરેલી

સમગ્ર રાજ્યમાં અનાવૃષ્ટિના કારણે ખેડૂતોને, રાજ્ય સરકાર તાત્કાલિક સહાય કરે તેવી રજૂઆત કરતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી

ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં રાજ્યમાં ખુબ જ અપૂરતો વરસાદ થયેલ છે. સરકારમાં નોંધાયેલ આંકડા મુજબ તા.૨૫-૦૮-૨૦૨૧ની સ્થિતિએ સરેરાશ કચ્છ જીલ્લામાં ૧૪૦ મીમી (૩૧.૭૪%), ઉત્તર ગુજરાતમાં ૨૨૯ મીમી (૩૧.૯૮%), મધ્ય ગુજરાતમાં ૩૦૬ મીમી (૩૭.૯૪%), સૌરાષ્ટ્રમાં ૨૬૦ મિમિ તથા દક્ષીણ ગુજરાતમાં ૭૫૧ મીમી (૫૧.૪૧%) વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ ૩૫૦.૭૧ મીમી (૪૧.૭૫%) થયો છે. રાજ્યમાં ૮૦% વરસાદની ઘટ વાળા ૨૦ તાલુકા, ૬૦% ઘટ વાળા ૧૨૯ તાલુકા, ૪૦% ઘટ વાળા ૮૧ તાલુકા અને ૨૦% ઘટ વાળા ૨૧ તાલુકા છે. જે અંગેના પત્રક ૧ થી ૪ આ સાથે સામેલ છે. રાજ્યમાં ફક્ત દક્ષીણ ગુજરાતમાં ૫૦%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. પોણા ભાગનાં રાજ્યમાં ૩૫% અને તેથી ઓછો વરસાદ નોંધાયો છે. આજે સમગ્ર રાજ્યમાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થઇ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં વરસાદ ખુબ જ અપૂરતો થયેલ છે. સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં કોરોના મહામારીમાં સહન કરેલ માર બાદ તોક્તે વાવાઝોડાએ ખેડૂતોને પારાવાર નુકશાન પહોચાડ્યું હતું, જેનાથી આપ વિદિત છો જ. ગીરસોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર જીલ્લાઓમાં તોક્તે વાવાઝોડાનાં કારણે ખેડૂતોનાં ઉભા પાક અને બાગાયતી પાકો સંપૂર્ણ નાશ પામેલ. તોક્તે વાવાઝોડાનાં કારણે વીજ ક્ષેત્રે થયેલ તારાજીનાં બાદ પણ આ જીલ્લાઓમાં મોટાભાગનાં ખેતરોમાં ખેતી વિષયક વીજ પુરવઠો પુનઃ ચાલુ થઇ શકેલ નથી. આજે જ્યારે ચોમાસાનીં અડધી સીઝન બાદ પણ પુરતો વરસાદ થયો નથી, ત્યારે ખેડૂતોનાં કુવાના તળમાં પાણી હોવા છતાં વીજળીના અભાવે આ ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી અને પાક બચાવી શકતા નથી.

કોરોના અને તોક્તે વાવાઝોડાની કુદરતી આપતિઓ બાદ ખેડૂત થોડો ઘણો બેઠો થયેલ અને ચોમાસાની શરૂઆતમાં પ્રથમ સારો વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદીને વાવેતર કરેલ. આજે ચોમાસાની અડધી સીઝન બાદ પણ વરસાદ નહિ થતા ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે, અને ખેડૂતોએ મોંઘા ભાવનં બિયારણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોને ખાતર, દવા વગેરેનો ખર્ચ પણ માથે પડ્યો છે.

કુદરતી આપતીથી ખરીફ ઋતુમાં ખેડૂતોના થતા પાક નુકશાન માટે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા. ૧૦-૦૮-૨૦૨૧નાં ઠરાવથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. સદર યોજનામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે તાલુકામાં ચાલુ સીઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા ૩૧ મી ઓગષ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ પડેલ ન હોય એટલેકે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે. રાજ્યમાં હાલ અનાવૃષ્ટિનું જોખમ ઉભું થયું છે. તેવા સંજોગોમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસન યોજના અંતર્ગત ખેડૂતોની મદદે તાત્કાલિક આવવું જોઈએ.

રાજ્યના ખેડૂતોને અનાવૃષ્ટિની કુદરતી આપત્તિથી બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી , નીચે મુજબની વ્યવસ્થા તાત્કાલિક કરવી અત્યંત જરૂરી છે . ( ૧ ) રાજ્યમાં જે ખેડૂતોના કૂવામાં પાણીના તળ ઊંડા છે તેવા ખેડૂતોને સતત ૧૪ કલાક ખેતીવિષયક વીજળી પૂરી પાડવી , જેથી ખેડૂત પોતાનો ઉભો પાક બચાવી શકે . . ( ૨ ) ખેડૂતોનો ઉભો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે તેનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું ૧૦૦ % વળતર ચૂકવવું . ( ૩ ) તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતવિષયક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો . ( ૪ ) પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવી . ( ૫ ) રાજ્યના જે વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી હોય ત્યાં નાગરિકો અને પશુઓ માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી . સમગ્ર રાજયની પ્રજા હાલ જ્યારે કોરોના , તૌકતે વાવાઝોડાની કુદરતી આપત્તિઓ બાદ અનાવૃષ્ટિની કુદરતી આપત્તિનો સામનો કરી રહી છે તેવા સમયે રાજય સરકારે ખાસ કરીને ખેડૂતો , પશુપાલકોની વહારે આવી , અનાવૃષ્ટિની કુદરતી આપત્તિથી બચાવવા માટે અછત મેન્યુઅલની જોગવાઈ , મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈ તેમજ ઉપરોક્ત જણાવ્યા મુજબની વ્યવસ્થા તાત્કાલિક કરવા મારી ખાસ વિનંતી સહ ભલામણ છે . આભાર સહ , આપનો સ્નેહાધીન ,

Related Posts