સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે છેલ્લા બે વર્ષમાં ૫ જિલ્લાઓમાં કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરાયો: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
વિધાનસભામાં સરદાર કૃષિ જ્યોતિ યોજના વિશે માહિતી આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં રૂ. ૯૧૮.૫૬ લાખ, ભાવનગરમાં રૂ. ૮૯૧.૮૭ લાખ, મોરબીમાં ૯૩૩.૮૮ લાખ, ગાંધીનગરમાં ૯૩૦.૩૦ લાખ અને કચ્છ જિલ્લામાં ૧૨૧૯.૨૯ લાખ એમ કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરવા આવ્યો છે.
આ યોજના વિશે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે રાજયમાં ખેડૂતોને ખેતીવાડી ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ ફીડર મોટે ભાગે ખેતર, ઝાડી અને જંગલ જેવા વૃક્ષોવાળા વિસ્તારમાંથી પસાર થતાં હોય છે. વૃક્ષોવાળા વિસ્તારમાંથી પસાર થતાં ખેતીવાડી ફિડરમાં વૃક્ષોને કારણે ફોલ્ટ પ્રમાણમાં વધારે થતાં હોય છે. ઘણીવાર ઝાડની ડાળી પડવાથી અને વીજ વાયર તૂટી જવાને કારણે આનુષંગિક માલ સામાનને પણ નુકશાન થાય છે. જેના કારણે પાવર ટ્રીપીંગ અને ફોલ્ટમાં વધારો થવાથી ખેડૂતોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળી શકતી નથી. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સરદાર કૃષિ જ્યોતિ યોજના (જીદ્ભત્નરૂ) વર્ષ ૨૦૧૭-૧૮થી અમલમાં મૂકવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો, કંડકટર તથા તેને આનુષંગિક માલ સામાન બદલવાની કામગીરી, મરામ્મતની કામગીરી તથા જરૂર જણાતા ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી કરી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ૮૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે અને ૨૦ ટકા ખર્ચ વીજ વિતરણ કંપનીઓ ભોગવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત જૂનાગઢ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને મહેસાણા જિલ્લામાં પણ સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત કરેલ ખર્ચની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.
Recent Comments