સાંસદ નારણભાઈ કાછડીયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને આયુષમાન કાર્ડ અને કીટ વિતરણ સંપન્ન

અમરેલી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતિમ પડાવમાં પહોંચી છે. સોમવારે સવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમરેલી તાલુકાના દેવરાજીયા મુકામે પહોચ્યો હતો.આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આયુષમાન ભારત, ઉજ્જવલા યોજના, પૂર્ણા શક્તિ, માતૃ શક્તિ યોજનાના લાભાર્થીઓને કાર્ડ અને કીટનું વિતરણ સાંસદશ્રી અને નાયબ મુખ્ય દંડકશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધતા સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આયુષમાન ભારત યોજના એ ભારતના નાગરિકોને આરોગ્ય કવચ આપતી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત દેશમાં ૪૦ કરોડથી વધુ કાર્ડ તૈયાર થયા છે, આ પૈકીના ૨,૬૯,૦૦૦ જેટલા માતબર સંખ્યામાં પી.એમ.જે.વાય કાર્ડ અમરેલી લોકસભા વિસ્તારમાં બન્યા છે. આ પ્રસંગે તેમણે પી.એમ. વિશ્વકર્મા, પી.એમ. કિસાન, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, અમરેલી તાલુકામાં વિકસિત ભારત યાત્રા સમાપન થવા જઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ થકી દેવરાજીયાને આધુનિક ગામ બનાવવામાં સફળતા મળી છે. આ યાત્રા થકી કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. રાજ્ય સરકાર અમરેલીની વિકાસયાત્રાને આગળ ધપાવવા કટિબદ્ધ છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના અનેક વિકાસકાર્યો મંજૂર કર્યા છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં અંદાજે રુ.૬૮ કરોડના ખર્ચે અમરેલીના વિવિધ વિસ્તારોમાં માર્ગોના કાર્યનું ખાતમુહૂર્ત પણ થશે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાએ, વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવી અપીલ કરી હતી પ્રાકૃતિક કૃષિ અને તેના થકી થતાં ફાયદાઓ વિશે ખેડૂતો વધુ પ્રમાણમાં અવગત થાય તે જોવા તેમણે સૂચન કર્યુ હતુ. અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયાએ દેવરાજીયાને વિકાસના પંથે લઈ જનારા સરપંચશ્રી સગુણાબેન વેકરિયાનું અભિવાદન કર્યુ હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા તેમણે ગ્રામજનોને સૂચન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે સૌએ વિકસિત ભારત-૨૦૨૪૭ના નિર્માણ માટેના શપથ લીધા હતા જ્યારે શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક નાટક ‘ધરતી કહે પુકાર‘ રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા, ઉપપ્રમુખશ્રી, ધીરુભાઈ વાળા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના દાતા સર્વશ્રી ધીરુભાઈ બાબરીયા, શ્રી અશ્વિનભાઈ બાબરીયા, અગ્રણીશ્રીઓ મનિષભાઈ સંઘાણી, શ્રી મેહુલભાઈ ધોરાજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકો અને વિવિધ વિભાગના અધિકારીશ્રી, કર્મયોગીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
Recent Comments