રાષ્ટ્રીય

સાગર ધનખડ હત્યા કેસઃ સુનિલ કુમારના ૪ સાથીદારની ધરપકડ

સાગર ધનખડ હત્યા કેસમાં દિલ્હી પોલીસે રેસલર સુશીલ કુમારના ૪ સાથીદારની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આરોપી, કાલા અસૌદા-નીરજ બવાના ગેંગના સદસ્યો છે. પુછપરછ દરમિયાન તેમણે સાગરની હત્યાના સંપૂર્ણ ષડયંત્ર અને ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો. આ ચારેય વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું.
રોહિણી પોલીસે મંગળવારે ભૂપેન્દ્ર, મોહિત, ગુલાબ અને મંજીતની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓએ કરેલા ખુલાસા પ્રમાણે ૪-૫ મે દરમિયાન રાતે તેઓ છત્રસાલ સ્ટેડિયમ ગયા હતા. તેઓ એક સ્કોર્પિયો અને બ્રીજા કાર દ્વારા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની સાયરન સાંભળતા જ તેઓ ગાડી અને હથિયાર છોડીને ભાગી ગયા હતા.


દિલ્હી પોલીસને ખબર મળી હતી કે સાગર હત્યાકાંડમાં સામેલ કાલા અસૌદા-નીરજ બવાના ગેંગના ૪ સદસ્ય આજે કાલા અસૌદાને મળવા આવી રહ્યા છે. ત્યાર બાદ પોલીસે ચારેયની ધરપકડ માટે એક ટીમ બનાવી હતી અને રોહિણી જિલ્લાના રેલવે ક્રોસિંગ પાસેથી ચારેયની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આખી રાત તેમની પુછપરછ કરવામાં આવી હતી.
આરોપીઓએ તેઓ છત્રસાલ સ્ટેડિયમ ખાતે બનેલી ઘટનામાં સામેલ હતા તેમ સ્વીકાર્યું હતું. તેમણે ઘટનાક્રમ અને તેમાં સામેલ અન્ય લોકો અંગે પણ માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે પોલીસની સાયરન સાંભળતા જ તેઓ વાહનો લઈને ભાગી ન શક્યા માટે બંને કાર અને હથિયાર ઘટના સ્થળે મુકીને ભાગ્યા હતા.

Related Posts