સાણંદમાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પણ બહુચર્ચિત અમદાવાદની આઈશાના આપઘાતનાં કિસ્સાની જેમ સાણંદની મરનાર પરિણીતાએ ફોટો લીધા બાદ આપઘાત કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. મરનાર મહિલા બીએસસી, બીએડ સુધીનો અભ્યાસ કર્યા બાદ શિક્ષિકાનું કામ કરતી હતી અને પતિ સિવિલ એન્જિનિયરનું કામ કરે છે.
મળતી માહિતી પ્રમાણે, મરનારના લગ્ન ૨ વર્ષ પહેલાં રાજકોટના રવિરાજ દેવમુરારી સાથે થયા હતા. બન્ને સાણંદમાં એક ફ્લેટમાં ભાડે રહેતા હતા અને આરોપી પતિ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત ૨-૬-૨૧ના રોજ ફરિયાદીની પત્ની ઉપર મરનાર અવનીના સસરાનો ફોન આવ્યો અને કહયું કે અવનીની તબિયત બહુ ખરાબ છે. જેથી ફરિયાદી જમાઈ સહિત અન્ય લોકોને સંપર્ક કરી અમદાવાદ આવવા નીકળી ગયા હતા. જાેકે, તેમને જાણ થઈ ગઈ હતી કે, તેમની દીકરીનું મોત થઈ ગયેલ છે.
સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સાણંદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને જેમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ ફરિયાદીનું કેહવું છે કે, મરનાર ૨૦ દિવસ પહેલા તેમના ઘરે આવી હતી અને ત્યાં તેને પોતાની માતા સાથે વાત કરી હતી કે, રવિરાજને એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે.
આ સાથે તેણે કહ્યું હતું કે, તે પોતાના પગારનો હિસાબ પણ આપતો નથી અને મરનારનું એટીએમ કાર્ડ પણ પોતાની પાસે રાખે છે.
સાથો સાથ સાસુ સસરા પણ કરિયાવરમાં કાંઈ લઈને આવી નથી અને રવિરાજને એક ફ્લેટ લેવો છે તો રૂપિયા લેતી આવ કહી હેરાન કરતા હતા. જેથી હાલ સાણંદ પોલીસે ફરિયાદ લઈને ૨ લોકોની ધરપકડ કરી છે અને મરનારનો મોબાઈલ એફએસએલ ખાતે મોકલી કાર્યવાહી કરી રહી છે.
Recent Comments