સાવરકુંડલા શહેર ભાજપાના અદના કાર્યકર, ખરાં અર્થમાં સમાજસેવક, જરૂરિયાતમંદો માટે અડધી રાતનો હોંકારો, ભેદરહિત કથની કરણી ધરાવતાં સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નનુભાઈ નાકરાણીનાં આકસ્મિક નિધનના સમાચાર મળતાં જ સાવરકુંડલા શહેર હીબકે ચડેલું. લોકોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરે ખરાં અર્થમાં એક સાચો સમાજસેવક ગુમાવ્યાના રંજ સાથે સ્વ. જયસુખભાઈ નાકરાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. આજરોજ અહીં શિવાજીનગર ખાતે આવેલ પટેલવાડી ખાતે સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરવા નિમિત્તે યોજાયેલ પ્રાર્થના સભા-બેસણાંમાં શહેરનાં અનેક સંતો મહંતો, સગાસંબંધીઓ, રાજકીય, સામાજિક અગ્રણીઓ, પટેલ સમાજના અગ્રણીઓ, વેપારી આગેવાનો, પત્રકારો, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો, નગરપાલિકા સ્ટાફ, અધિકારીઓ પદાધિકારીઓ, સેવાભાવી યુવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. આમ ગણીએ તો સાવરકુંડલા શહેરની કોઈ પણ સમસ્યા હોય સ્વ. જયસુખભાઈ પોતે અડધી રાત્રે પણ લોકોની સેવામાં હાજર રહેતાં. સમાજના તમામ વર્ગના લોકો સાથે રહીને સમાજની સમસ્યાઓ હલ કરવા માટે સતત પ્રતિબધ્ધ એવાં સ્વ. જયસુખભાઈ નાકરાણી આજે આ ફાની દુનિયામાં સદેહે ભલે ન હોય પરંતુ તેમના સેવાકાર્યો સતત તેની યાદ અપાવતાં રહેશે. તેમના આદર્શો અને વિચારધારાને સાંપ્રત સમયના સમાજસેવકો અનુસરે એ જ સાચી શ્રદ્ધાંજલી . આ પ્રાર્થનાસભામાં શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સદગતના કાર્યોને યાદ કરી હ્રદયના પવિત્ર ભાવ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી..અંતમાં પરિવાર પર આવી પડેલ આ અસહ્ય દુખને સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના પણ કરવામાં આવી.
સાવરકુંડલા શહેરનો એક સિતારો અસ્ત થયો શહેરે ખરાં અર્થમાં એક સાચો સમાજસેવક ગુમાવ્યો

Recent Comments