સાવરકુંડલા શહેરમાં નવરાત્રિનાં નવલાં નોરતાંના દિવસો એટલે માતાજીની આરાધના અને ઉપાસના કરવાનું પર્વ. આમ તો આ નવરાત્રિ પૂર્વે જ વિવિધ પ્રકારના ફ્લોટસના નિર્માણ માટે શહેરના વિવિધ ગરબી ગરબી મંડળો વ્યસ્ત થઈ જતાં હોય છે. પ્રથમ વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં પોપટ બોઘા શેરીમાં પોપટ બોઘા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન છેલ્લા વીશ વર્ષથી અલગ અલગ મૂર્તિઓ ભાવિકોના દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવે છે જેમાં આ વર્ષે મામાદેવ, ખોડિયાર માતાજી, ભુવા અને ભુઈ માં ની હલન ચલન વાળી મૂર્તિ આકર્ષણ નું કેન્દ્ર બની છે. આ મૂર્તિ બનાવનાર આ જ વિસ્તારમાં રહેતા વજુભાઇ લુહારનું પોપટ બોઘા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે.
તો થોડા આગળ જતાં નાના કોળીવાડાની શેરીમાં આવેલ લીંબડાવાળા મેલડી મંદિરની બાજુમાં શ્રી કૃષ્ણ રાસ મંડળ દ્વારા આશરે એકસો વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. અને પ્રતિ વર્ષ યાંત્રિક મૂર્તિનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવે છે જેમાં આ વર્ષે હંસ પર બિરાજમાન બ્રહ્માણી માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે અને આ વિસ્તારમાં ૫૬ મો મૂર્તિ મહોત્સવ છે. અહીંયા પુરુષો દ્વારા રાસ મંડળીનું આયોજન કરવામાં આવે છે.
શહેરમાં જ્યારે પણ લોકો મૂર્તિના દર્શનાર્થે નીકળે છે ત્યારે અભિભૂત થાય છે. આ વર્ષે શ્રી કૃષ્ણ રાસ મંડળ સાથે જોડાયેલા બે સભ્યોનું આ વર્ષે અવસાન થયેલ જેમાં સોમાભાઈ મકવાણા, અને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. તો સાવરકુંડલાના ચાંપરાજ બાપુની જગ્યા પાસે ઝીંઝુડાના ઝાંપે દાસારામ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગરબી અને મૂર્તિનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિહત માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. જેનો બહોળી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. તો વળી સાવરકુંડલા શહેરમાં ઝીંઝુડા ઝાંપે આવેલ ગાયના ગોંદરે છેલ્લા ચાલીશ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં રાસ મંડળી પણ રમવામાં આવે છે.
તેમજ પ્રતિવર્ષ અલગ અલગ મૂર્તિ પણ બનાવવામાં આવે છે જેમાં ભરવાડ સમાજ દ્વારા કાળીયા ઠાકરની મૂર્તિ બનાવવામાં આવી છે. આમ આ મંડળીએ છેલ્લા ચાલીસ વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. તો આ તરફ મણીભાઈ ચોક ખાતે ભરવાડ માલધારી ગૃપ દ્વારા ઉત્સાહપૂર્વક નવરાત્રિ મહોત્સવ દરમિયાન પ્રતિ વર્ષ વિવિધ મૂર્તિઓ બનાવી ભાવિકોના દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવે છે. જેમાં આ વર્ષે રાધાકૃષ્ણની મૂર્તિ બનાવવામાં આવી છે. તો વળી અહીં દેવળા ગેઈટ પોલીસ ચોકી પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે લૂંલી લંગડી અને બિમાર ગાયોના લાભાર્થે ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ સમાન ખૂબ રોચક અને ઉત્સાહ પ્રેરે તેવી કૃતિ રજૂ કરવામાં આવી છે. જ્યારે દેવળા ના ઝાંપે સર્વોદય નગરની શેરી ખાતે મહાલક્ષ્મીજીની શ્રીફળમાંથી બહારના નીકળતી હલનચલન કરતી મૂર્તિ જોવા લોકો ઉમટી પડે છે તો જય ખોડિયાર બાળ મિત્ર મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી રાસ રમવાની ભારતીય સંસ્કૃતિની કાઠિયાવાડી પરંપરાની ઝલક પણ દર્શનથીં અને ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. સાવરકુંડલા શહેરની નવરાત્રિ અને ગરબી મહોત્સવની ઝલક નિહાળવા માટે દૂર દૂર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી લોકો સાવરકુંડલા પધારે છે જે સમગ્ર સાવરકુંડલા શહેર માટે ગૌરવ સમાન વાત છે
Recent Comments