ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી સિંગતેલ ગાયબ થાય તો નવાઇ નહીં, કારણ કે લોકોના ખિસ્સા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે. બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા ૩૦નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૩૧૦૦ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે.
આજે રૂપિયા ૩૦ના ઉછાળાથી ભાવ ફરી ૩૧૦૦ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા ૧૩૦નો ઉછાળો નોંધાયો છે. રાજકોટમાં સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રુપિયા ૩૦ના સુધારાથી ૩૦૫૦થી ૩૧૦૦ થયો હતો. ગત મહિને ડબ્બો ૩૧૦૦નો થયા બાદ અંદાજીત ૧૫૦ રુપિયા ઘટી ગયા હતા,પરંતુ ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઇ છે અને ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જાણકારોના કહેવા પ્રમાણે દોઢ મહિનાથી વરસાદ નથી. પરિણામે મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન છે. વિઘા દીઠ ઉત્પાદન ઘટી શકે છે. રાજય સરકારે પ્રાથમિક અંદાજે ૩૯ લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે ૨૪-૨૫ લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં ૨૦ ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે. જાે કે આગોતરા વાવેતર થઇ ગયા હતા તેવી મગફળી તો બજાર થવા લાગી છે. સિંચાઇ સુવિધા ધરાવતી ખેતીમાં પણ કોઇ ખાસ વાંધો નથી પરંતુ જયાં વાવેતર નબળા પડી ગયા છે ત્યાં કદાચ હવે ફરી વરસાદ આવે તો પણ મોટો ફાયદો થાય તેવી શકયતા નથી.
Recent Comments