સિઝેરીયન બાદ પ્રસુતા મહિલાનું પેટ ફૂલી ગયું, સોનોગ્રાફી કરાવી તો ખબર પડી કે ડોકટર પેટમાં કપડું ભુલી ગઈ હતી

જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મહિલાની પ્રસૃતિ દરમિયાન સિઝેરિયન ઓપરેશન વેળાએ ડોક્ટર મહિલાના પેટમાં કપડુ ભૂલી જવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. મહિલાના પેટમાં દુખાવો થતા સોનોગ્રાફી કરાવતા પેટમાં કપડું હોવાની પરિવારને જાણ થઇ હતી. જેથી સિઝેરીયનના ૫૪માં દિવસે મહિલાનું ફરીથી ઓપરેશ કરી પેટમાંથી કપડુ કાઢ્યું હતું. આ મામલે મહિલાના પતિએ મહિલા તબીબ સામે જંબુસર પોલીસમાં ફરીયાદ નોધાવી છે. સુરતની પરિણીતા પીયરમાં પ્રસુતિ માટે આવી હતી ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના અમરોલી ખાતે રહેતાં શૈલેષભાઇ જશુભાઇ સોલંકીના લગ્ન જંબુસર ખાતે રહેતાં અમરસંગ ડાહ્યાભાઇ સોલંકીની પુત્રી અમિષા સાથે થયાં હતાં. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતાં તે તેના પિયરે આવી હતી.
આ દરમમિયાનમાં ૫ મહિના પહેલાં એટલે કે ૨૨મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ કરી હતી. જ્યાં મહિલા તબીબ ડો.ચાર્મી આહીરે તેમની પત્નીનું સિઝેરીયન ઓપેરશન કર્યું હતું. જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફુલી ગયું હતું. તબીબતનો સંપર્ક કર્યો તો હેવી દવા આપી હોવાનું જણાવ્યું મહિલાનું પેટ ફુલી જતાં પરિવારે આ અંગે તબીબતનો સંપર્ક કર્યો તો તબીબે હેવી દવા આપી હોવાનું જણવી સારૂ થઇ જશે એમ જણાવ્યું હતું. જાેકે, મહિલાને સારૂ ન થતાં પરિવારે જંબુસરની જ તુષાર પટેલ ખાનગી હોસ્પિટલ દાખલ કરી હતી. જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારૂ લાગતાં તેઓ સુરત તેમના ઘરે ગયાં હતાં.
સુરત ગયા બાદ પણ અમિષાબેનને પેટમાં સતત દુઃખાવો રહેતાં અન્ય તબીબ પાસે ગયા હતા. જ્યાં ડોક્ટરે અમિષાબેનની સોનોગ્રાફી કરી તો તેમના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આથી પરિવારે જંબુસર આવી ડો.ચાર્મી આહિરનો સંપર્ક કર્યો હતો. જાેકે, તેમણે કહ્યું હતું કે, એમની હોસ્પિટલમાં પુરતા સાધનો ન હોવાથી વડોદરાની એસએસજીમાં જાઓ. પરિવાર જ્યારે વડોદરાની હોસ્પિટલ ગયો ત્યાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો. આથી પરિવારે સુરત આવી અમિષાબેનનું ૨૯મી નવેમ્બરે એટલે કે ૫૪ દિવસ બાદ મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી તેમના પેટમાંથી કપડુ કાઢ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડો. ચાર્મી આહીરની ગંભીર બેદરકારી જણાતાં અમિષાબેનના પતિ શૈલેષભાઇ સોલંકી જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે અમિષાબેનના પતિ શૈલેષભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, મારી પત્નીને શ્રીમંત બાદ ડિલીવરી માટે પિયરે મોકલી હતી. આ દરમિયાન તેને પ્રસતિ માટે જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગત ૨૩મી સપ્ટેમ્બરે મહિલા તબીબ ડો.ચાર્મી આહિરે મારી પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ મારી પત્નીનું પેટ ફુલી ગયું હતું. છતાં ડો.ચાર્મીએ યોગ્ય સારવાર ન કરતાં તેને જંબુસરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તેની હાલતમાં સુધારો જણાતાં સુરત લઇ ગયા હતા.
સુરત ગયા બાદ પુનઃ તકલીફ શરૂ થઇ હતી. જ્યાં ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં સીટી સ્કેનમાં તેના પેટમાં કોટનનો ટુકડો હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે ડો. ચાર્મીનો સંપર્ક કરતાં તેમણે તેને વડોદરા લઇ જવા જણાવ્યું હતું. વડોદરામાં પણ અમને યોગ્ય પ્રતિસાદ ન મળતાં પત્નીનું સુરતમાં ઓપરેશન કરાવી કપડુ કઢાવ્યું હતું. ડો.ચાર્મીને અમે નોટિસ આપતાં તેના વળતાં જવાબમાં તેમણે અમને ૫૦ લાખની બદનક્ષીની નોટિસ આપી છે. આ અંગે અમિષાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ડોક્ટરે મારું સિઝેરિયન ઓપરેશન કર્યું ત્યાં તે મારા પેટમાં જ કોટનનું કપડુ ભુલી ગઇ હતી. મને ભારે દુખાવો થતાં અન્ય ડોક્ટરોને બતાવતાં સિટીસ્કેન કરાવતાં પેટમાં કોટનનું કપડું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી અમે તેમની સામે જંબુસર પોલીસ મથકે ફરજમાં ગંભીર બેદરકારીનો ગુનો નોંધાવ્યો છે. આ મામલે સોલંકી પરિવારે ડો.ચાર્મી આહિર સામે કરેલા આક્ષેપો અંગે ડો.ચાર્મી આહિરે જણાવ્યું હતું કે ,આ બાબતે કોઈ પણ પ્રકારનું તેમનું સ્ટેટમેન્ટ જાહેર નહીં કરવાનું જણાવ્યું હતું.
Recent Comments