સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં કાર લઈ આવેલા આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની કારમાં જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર તેના મિત્ર સહિત બેની એસઓજીએ ધરપકડ કરી છે. આણંદના સિદ્ધાર્થે આઠ દિવસ અગાઉ વાપરવા આપેલી કાર મિત્ર નિકુંજે તેની જાણ બહાર એમડી ડ્રગ્સ લેવા રૂ.૫૦ હજારમાં ગીરવે મૂકી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજની પત્ની-પુત્રી વિશે એલફેલ બોલતા તેની હત્યા કરવાનું નક્કી કરી તેને બોલાવી હત્યા કરી હતી.
આણંદનો વતની અને અગાઉ ફાયનાન્સનો ધંધો કરતો તેમજ હથિયાર, મારામારી સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાયેલો ૩૨ વર્ષીય સિદ્ધાર્થ સંદીપભાઈ રાવ ઈનોવા કાર લઈને ૨૪મીના રોજ સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં આવ્યો હતો. ત્યારે અજાણ્યા ઈસમો કારમાં જ તેને બન્ને પગનાં ઘુંટણ અને સાથળના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સિદ્ધાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં હત્યાને પગલે સરથાણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
બાતમીના આધારે એસઓજીની ટીમે સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાઈક પર પસાર થતા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખભાઈ સાંગાણી ( ઉ.વ.૨૮ ) અને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા ( ઉ.વ.૨૬, રહે.૧૪૬, સાંકેત રો હાઉસ, મોટા વરાછા ફાયર સ્ટેશનની સામે, સુરત. તથા ઘર નં.૧૨, ધર્મનંદન સોસાયટી, જે.પી.પટેલ સ્કૂલની આગળ, કામરેજ, સુરત. મૂળ રહે. અકાળા, તા.લાઠી, જી. અમરેલી ) ને ઝડપી પાડી તેમની પાસેથી બાઈક અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.
Recent Comments