અમરેલી

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં રૂ.૪૫૦.૮૭ લાખના ખર્ચે ૩૦૪ વિકાસ કામો થયા

ડીપીઆઇઆઇટી નવી દિલ્હીના ડેપ્યુટી સેક્રેટરીશ્રી કરણ થાપર અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, ચેન્નાઇના સાયન્ટીસ્ટશ્રી ડૉ. એસ. શક્થિ મુરુગન દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાની મુલાકાત કરવામાં આવી હતી.કલેકટર કચેરી, અમરેલી ખાતે ડીપીઆઇઆઇટી નવી દિલ્હીના ડેપ્યુટી સેક્રેટરીશ્રી કરણ થાપર અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, ચેન્નાઇના સાયન્ટીસ્ટશ્રી ડૉ. એસ. શક્થિ મુરુગન દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જળસિંચન (રાજય)ના કાર્યપાલક ઇજનેરશ્રી એ.બી. રાઠોડ દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતુ. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જમીનના તળ ઉંચા લાવવા માટે જિલ્લામાં વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ દરમિયાન કામગીરી કરવામાં આવી. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં રૂ.૪૫૦.૮૭ લાખના ખર્ચે ૩૦૪ વિકાસ કામો થયા છે.

જિલ્લામાં જળસંગ્રહ માટેની કામગીરી થતાં મજૂરોને રોજગારી મળી અને ખેડુતોને આ ફળદ્રુપ માટી ઉપયોગી બની વધુમાં જમીનના સંવર્ધનની પણ પ્રવૃત્તિ થઇ શકી. વોટર રિસોર્સ વિભાગ, મનરેગા, વન, શહેરી વિભાગ, વોટરશેડ તથા પાણી-પુરવઠા સહિતના વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિવિધ કામગીરી કરવામાં આવી તેથી પાણી સંગ્રહ ક્ષમતાનો ઉમેરો થયો છે.

જળ શક્તિ અભિયાન અંતર્ગત ચેકડેમ અને તળાવની સંગ્રહ ક્ષમતામાં ઉમેરો કરવાની કામગીરી શરુ કરવામાં આવી. વરસાદના વહી જતાં પાણીના સંગ્રહ થકી ખેતીવાડી માટે ઉપયોગમાં લઇ શકાય તેવા ઉદ્દેશ્ય સાથે ચેકડેમ અને તળાવને ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી તેનાથી પાણી સંગ્રહની ક્ષમતામાં ૫,૯૮,૪૨૧ ઘન મીટરનો ઉમેરો થયો છે. વધુમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થયું છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી થતું સ્થળાંતર ઘટાડી શકાય છે.

સૌની યોજના હેઠળ લીંક્સ બનાવી ધાતરવડી અને રાયડી ડેમ ઉપરાંત ચેકડેમને ભરવા માટેનું આયોજન પણ જણાવ્યુ હતુ. આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ૭૫ સરોવર માટે કામગીરી કરવામાં આવતા ૨૦ સરોવરની કામગીરી ઓગષ્ટ-૨૦૨૨ દરમિયાન પૂર્ણ કરવામાં આવી છે.જળ મિશન અંતર્ગત વાસ્મો દ્વારા ૯૮ ટકા ઉપરાંતની કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં નલ સે જલ – હર ઘર નલ સૂત્ર સાર્થક થયાનું વાસ્મોના શ્રી સિંઘલે જણાવ્યું હતુ. પાણી પુરવઠાના શ્રી વામજાએ જિલ્લામાં પાણી-પુરવઠા દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિગતો આપી હતી.    

ડીપીઆઇઆઇટી નવી દિલ્હીના ડેપ્યુટી સેક્રેટરીશ્રી કરણ થાપરે, જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સરોવર માટે થયેલી કામગીરી, જિલ્લામાં સરેરાશ વરસાદ અને ચાલુ વર્ષે થયેલા વરસાદ સહિતની વિગતો મેળવી હતી. તેમણે જિલ્લામાં જળસિંચન માટે થયેલી કામગીરીને બિરદાવી હતી. વરસાદના પાણીના સ્ટોરેજને વધારવા અને જળનો વ્યય ન થાય તે માટે જનજાગૃત્તિ લાવવા વધુ પ્રયાસો કરવા પણ તેમણે કહ્યુ હતુ. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં જળસિંચન પંચાયત, વોટરશેડ, મનરેગા હેઠળ થયેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts