રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે બોરવેલ અકસ્માતને રોકવા માટે ગાઈડલાઇન જાહેર કરી

ગુજરાત સહિત દેશમાં અનેક જગ્યાએ પાણી માટે બોરવેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ અત્યાર સુધી બોરવેલના કારણે અનેક દુર્ઘટનાની ઘટનાઓ સામે આવી ચુકી છે. બોરવેલમાં પડી જવાને કારણે ઘણીવાર નાના બાળકો પોતાના જીવ પણ ગુમાવી દેતા હોય છે. આ સિવાય બોરવેલમાં પડેલા બાળકોને બહાર કાઢવા માટે કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાની જરૂર પણ પડતી ગોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે બોરવેલ અકસ્માતને રોકવા માટે ગાઈડલાઇન જાહેર કરી છે. ભારતની સર્વોચ્ચ કોર્ટે બોરવેલ અકસ્માતને રોકવા માટે કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે.

કોર્ટે કહ્યું કે, જ્યારે બોરવેલ ખોદવાનો હોય ત્યારે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જાેઈએ. આ સિવાય કોર્ટે કહ્યું કે, જ્યારે બોરવેલ ખોદાતો હોય તો આસપાસ ફેન્સિંગ કરવું જાેઈએ. જ્યાં બોરવેલ ખોદાતો હોય ત્યાં બોર્ડ લગાવવું જાેઈએ. પહેલું એ કે બોરવેલમાં ખોદતી સરકારી સંસ્થા, અર્ધ-સરકારી સંસ્થા અથવા કોન્ટ્રાક્ટરે જિલ્લા વહીવટીતંત્ર અથવા સંબંધિત સક્ષમ અધિકારીની કચેરીમાં નોંધણી કરાવવી જાેઈએ. બીજું એ કે જ્યાં બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જાેઈએ. ત્રીજું એ કે બોરવેલ ખોદતી વખતે તેની આસપાસ કાંટાળા તારની ફેન્સીંગ અથવા અન્ય યોગ્ય વ્યવસ્થા કરવી જાેઈએ. અને બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે.

તેની ઊંચાઈ ૦.૩૦ મીટર હોવી જાેઈએ. પ્લેટફોર્મ જમીનમાં ૦.૩૦ મીટર ઊંડું બનાવવાનું રહેશે. ત્યારબાદ કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જાેઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જાેખમથી બચાવવાનો છે. પંપના સમારકામ સમયે ટ્યુબવેલનું મુખ બંધ રાખવો. અને બોરવેલ ખોદવાનું કામ પૂર્ણ થયા બાદ ખોદવામાં આવેલ ખાડો અને પાણીની ચેનલને સમતળ કરવામાં આવશે. અને જાે કોઈ કારણસર બોરવેલને અધૂરો છોડવો પડે, તો તેને ખોદકામ માંથી માટી, રેતી, કાંકરી, પથ્થરો અથવા ઝીણા પથ્થરોના ટુકડાઓથી જમીનના સ્તર સુધી સંપૂર્ણપણે ભરવા જાેઈએ. અને બોરવેલનું ખોદકામ પૂર્ણ થયા બાદ સ્થળની જૂની હાલત પુનઃસ્થાપિત કરવી જાેઈએ.

Related Posts