ગુજરાત

સુરતના દુષ્કર્મના આરોપી ગુડડુ યાદવને ફાંસીની સજા અપાઈ

દિવાળીની આગલી રાત્રિ, એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતીય એવો ગુડ્ડુ યાદવ વડોદ નજીક ઝાડીઝાખરમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે ૭ દિવસમાં જ ટ્રાયલ પૂરી કરી હતી. કુલ ૬૯ સાક્ષી પૈકી સરકાર પક્ષે ૪૨ સાક્ષી જ ચકાસ્યા હતા.સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠરાવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર ૨૯ દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. એમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગણતરીના દિવસોમાં જ બાળકીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. પોલીસના જવાનોએ ખૂબ ઉમદા કામગીરી કરીને માત્ર ગણતરીના સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ન્યાયતંત્રની સાથે સંકળાયેલા વકીલો,તબીબોની ટીમ એફએસએલ તથા ડીએનએ સહિતની તમામ ટીમોએ ખૂબ ઝડપી કામગીરી કરીને ઝડપી ન્યાય બાળકીને અપાવ્યો છે. હું પોલીસ અને વકીલો સાથે પણ સતત સંપર્કમાં હતો અને તમામ મદદની ખાતરી અપાઈ હતી. ગુજરાતમાં હવે ન્યાય માટે લાંબો સમય રાહ ન જાેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પહેલાં પોલીસે આરોપીની ધરપકડ કરી ૮ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં ૭ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો, જેમાં આજે (મંગળવારે) કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી, સાથે જ બાળકીના પરિવારને ૨૦ લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું હતું કે,પોલીસે દિવાળી હોવા છતાં તહેવારને અવગણીને બાળકીની શોધખોળ ચલાવી હતી. બાળકી મળી આવ્યા પછી પીએમમાં તેના પર દુષ્કર્મ થયાનું સામે આવતાં તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપી લઈને તમામ વૈજ્ઞાનિક પૂરાવા એકઠાં કર્યા હતાં. બાદમાં માત્ર આઠ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસની એસઓજી,ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ ઝડપી કામગીરી કરીને બાળકીને ન્યાય અપાવ્યો છે.પાંડેસરા ટીમ અને આ કેસમાં કામ કરનાર જવાનોને સ્પેશિયલ પુરસ્કાર માટે રજુઆત કરીશ તેમ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે નરાધમના નરપિશાચી કૃત્યની યોગ્ય સજા કોર્ટે ફટકારી છે. પોલીસ, તબીબી ટીમ સહિત ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. ઝડપી ચુકાદામાં યોગ્ય ન્યાય બાળકીને મળે એ માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ પણ આ કેસ ઝડપથી ચાલે અને ન્યાય મળે એ માટે સંબંધિત વિભાગમાં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટ પરિસરમાં બાળકીની માતા રડી પડી હતી. રડતી આંખે બાળકીની માતાએ કહ્યું હતું કે ‘સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી’. ઝડપી ન્યાયને પણ તેણે આવકાર્યો હતો.

Related Posts