રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. હાલ રાજ્યમાં ૬૦૦૦ જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનો નવો સ્ટ્રેન ૩૦ વર્ષથી લઈને ૫૫ વર્ષ સુધીના લોકોને સંક્રમિત કરી રહ્યો છે. રાજ્યની હોસ્પિટલોમાં બેડની અછત છે. તો બીજી તરફ સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે રાજ્યમાં કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ જ કારણે હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરની બહાર દર્દીના પરિવારજનો ઇન્જેક્શન મેળવવા છથી સાત કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના નામ પર ઇન્જેક્શન દર્શાવીને ઇન્જેક્શન બારોબાર સગેવગે કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ૧૫૦ જેટલા ઇન્જેક્શનોનો હિસાબ ન મળ્યો હોવાના કારણે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાગીણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે. મહત્ત્વની વાત છે કે, કોરોના વોર્ડમાં દર્દીઓ દાખલ હોય તેમના નામે ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ, મેડિકલ સ્ટોરમાં રજીસ્ટરમાં દર્દી દાખલ ન હોય તેમના નામે પણ ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ જ કારણે હવે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરત હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેકશન મેળવવા માટે દર્દીના પરિવારજનો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે. લોકોને જાણવા મળ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં રેમડેસીવીરનો જથ્થો આવી રહ્યો છે. તેથી લોકોએ કિરણ હોસ્પિટલની બહાર ત્રણ-ત્રણ કિલોમીટર જેટલી લાઇન લગાવી હતી. તો બીજી તરફ સુરતના ભાજપ કાર્યાલય પરથી પણ ૯૦૦ જેટલા ઇન્જેક્શનો લોકોને ફ્રીમાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા કલેકટરે સોમવારે જાહેરાત કરી હતી કે તંત્ર પાસે રહેલા ૩૦૦૦ ઇન્જેક્શનમાંથી ૨૦૦૦ જેટલા ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે અને પ્રત્યેક દર્દીને માત્ર એક ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે.
Recent Comments