ગુજરાત

સુરતમાં નાનાવરાછા વિસ્તારમાં રહેતા દિવાળીમાં વતન જતી વખતે બસમાં આઠ વર્ષના બાળકનું અચાનક મોત થયું

નાનાવરાછા વિસ્તારમાં રહેતા માંદુરીયા પરિવાર દિવાળીની ઉજવણી કરવા માટે વતન સુરેન્દ્રનગર ખાતે જવા નીકળ્યા હતા . ત્યારે કામરેજના પાસોદરા પાટીયા પાસે ચાલુ લક્ઝરી બસમાં જ ૮ વર્ષીય બાળકની અચાનક તબિયત વધુ ગંભીર થતા મોતને ભેટયો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગરના વસ્વાડીના વતની અને હાલમાં નાનાવરાછા ખાતે આવેલ નાના વરાછામાં શ્યામધામ ચોક પાસે રહેતા દિલીપભાઈ માંદુરીયા તથા તેમના પત્ની મંજાબેન અને એકનો એક પુત્ર સુરેશ સાથે શુક્રવારે મોડી રાતે દિવાળીની ઉજવણી માટે વતન જવા માટે નાનાવરાછા ખાતેથી એક ખાનગી લક્ઝરી બસમાં બેસીને નીકળ્યા હતા.

તે સમયે પાસોદરા પાટિયા પાસે ચાલુ બસમાં જ સુરેશ અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી બસને રસ્તામાં જ ઉભી રખાવીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતના પગલે માતા પિતા શોકગ્રસ્ત થઈ ગયા હતા અને ત્યાં જ અર્ધ બેભાન થઈ ગયા હતા.પરિવારના અન્ય સભ્યોએ જેમતેમ તેમને સ્વસ્થ કર્યા હતા. જયારે બાળકના પરિચિત વ્યક્તિએ જણાવ્યું કે, સુરેશને પાંચ -છ દિવસથી તાવ આવ્યો હોવાથી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા.બાદમાં ગત રાતે તેની એકાએક તબિયત વધુ બગડતા મોતને ભેટયો હતો. તેના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જયારે તે પરિવારમાં એકનો એક લાડકવાયો પુત્રના મોતને પગલે દિવાળીની ખુશી પણ માતમમાં ફેરવાઈ ગઈ છે.

Related Posts