સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા યુવાનને સાપે ડંખ મારતા ભુવાએ દોરા ધાગા બાંધી સારું થઈ જશે એમ કહી ઘરે મોકલી આપતા સવારે ગંભીર હાલતમાં સિવિલ લવાયો હતો. મજૂરી કામ કરતા મુકેશ ખલજી નિનામાને પેટ, છાતી અને જીભ પર બળતરા શરૂ થતાં પરિવારે મૃત સાપને ઘરના વાડામાંથી શોધી બન્નેને ૧૦૮ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા.
મુકેશ વસાવા (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે મુકેશને મધરાત્રે ૨ વાગે એક સાપ નિંદ્રાવસ્થામાં જ કાન પાછળ ડંખ માર્યો હતો. મુકેશે બુમાબુમ કરી દેતા પરિવારના સભ્યો એ સાપને જાેઈ મારી નાખ્યો હતો. ત્યારબાદ મુકેશને ઘર નજીકના એક ભુવા પાસે લઈ જવાયો હતો. જ્યાં ભગત-ભુવાએ વિધિ કરી મુકેશના હાથ પર દોરા બાંધી સારું થઈ જશે ઘરે લઈ જવા જણાવ્યું હતુ. જાેકે સવાર પડતા જ મુકેશને પેટમાં, છાતીમાં અને જીભ ઉપર બળતરા શરૂ થઈ જતા તાત્કાલિક ૧૦૮ને ફોન કરી સિવિલ લઈ આવ્યા હતા. આ સાથે મૃત સાપને થેલીમાં લઈ સિવિલ આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, મુકેશ મૂળ એમપીનો રહેવાસી અને પત્ની અને બહેન સાથે રહે છે અને કડીયા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. મુકેશ એક મહિના પહેલા સુરત પરિવાર સાથે આવ્યો હતો. જાેકે હાલ તેની તબિયત સાધારણ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
Recent Comments