કોરોના સુરતમાં તાંડવ મચાવી રહ્યો છે. જાહેર આરોગ્યની પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઇ છે. મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમક્રિયા માટે પણ હવે ટોકન લઇ લાઇનમાં ઊભા રહેવાનો વખત આવ્યો છે. સુરત સિટીમાં આવેલી મુખ્ય ત્રણેય સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ગઇ છે. સ્મશાનભૂમિમાં પગ મૂકવાની જગ્યા બાકી રહી નથી. એટલી હદે કોરોના દર્દીઓનો જીવ લઇ રહ્યો છે. કોરોનાથી દર્દીઓના મૃત્યુને લઇને અત્યાર સુધી નહીં જાેએલી કે નહીં સાંભળેલી સ્થિતિ ગુરુવારે ઉપસ્થિત થઇ હતી. આધારભૂત વર્તુળોના જણાવ્યા મુજબ કોવિડ અને નોન-કોવિડ બંને મળી અશ્વનીકુમાર સ્મશાનભૂમિ ખાતે ૧૨૫થી વધુ, જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર સ્મશાનગૃહ ખાતે ૧૦૦ અને ઉમરા સ્મશાનભૂમિ ખાતે ૯૦થી વધુ ડેડબોડીની અંતિમક્રિયા કરવામાં આવી હતી. સ્વજનના અંતિમ સંસ્કાર માટે પહોંચેલા લોકોએ પોતાનો ટર્ન આવે તે માટે કલાકો સુધી રાહ જાેવાનો વખત આવ્યો હતો.
કોરોનાની સારવાર માટે દર્દીઓ કણસી રહ્યા છે. તેમના પરિવારજનો કરગરી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ નથી. ડોક્ટરોના ક્લિનિક દિવસ-રાત ધમધમી રહ્યાં છે. પેથોલોજી લેબમાં ૨૪ કલાક પછી પણ મેડિકલ રિપોર્ટ મળતા નથી. એટલી હદે સ્થિતિ ભયાવહ અને વિકરાળ થઇ ચૂકી છે.
કોરોના આજે સુરતમાં એવી સ્થિતિ પેદા કરી ચૂક્યો છે કે, પોતાના સ્વજનની અંતિમક્રિયા ઝડપથી થાય તેને માટે સ્મશાનગૃહમાં પણ ભલામણ કરવી પડી રહી છે. અશ્વનીકુમાર, જહાંગીરપુરા અને ઉમરા સ્મશાનભૂમિ મૃતદેહોથી ખીચોખીચ થઇ ચૂકી હોય અંતિમસંસ્કાર માટે વધુ લાંબા સમય સુધી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે તે માટે ટ્રસ્ટીઓ કે જાણકારો સમક્ષ ભલામણ કરાવવાનું શરૂ થયું છે.
ગુરુવારે સોશિયલ મીડિયામાં ઉમરા સ્મશાનભૂમિનો વીડિયો વાયરલ થયો હતો. ૬૫ સેકન્ડના આ વીડિયોમાં એકસાથે અનેક મૃતદેહો લાઇનમાં મૂકવામાં આવ્યા હોવાનું જણાય રહ્યું છે. વ્હાઇટ કલરના પ્લાસ્ટિકના પેકિંગમાં કોવિડ ૧૯ની અનેક ડેડબોડીઓ જાેવા મળી રહી છે. આ વીડિયો ગુરુવારે વોટ્સએપ ઉપર વાઇરલ થતાં શહેરભરમાં ચકચાર મચી હતી.
શહેરની હોસ્પિટલ અને સ્મશાનગૃહના દૃશ્યોથી આંખ પહોળી થઇ જાય તેમ છે. ગુરુવારે સુરતમાં ૧૪ કોરોના દર્દીઓના મૃત્યુ થયા હોવાનું આરોગ્ય તંત્રે સત્તાવાર જાહેર કર્યું હતું. જાેકે, જમીની હકીકત સાથે દૂર દૂર સુધી આવા બોગસ આંકડાઓ મેળ ખાતા નથી. દરમિયાન અશ્વનીકુમાર સ્મશાનભૂમિમાં સવારે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાના અરસામાં મૃતદેહ લઇ પહોંચેલી એક શબવાહિનીમાં એકસાથે અનેક ડેડબોડીની સંખ્યા જાેઇ આસપાસ ઉભેલા સૌ કોઇ સૂનમૂન રહી ગયા હતા. દ્રશ્ય નરી આંખે જાેનારાઓએ કહ્યું કે, શબવાહિનીમાંથી એક પછી એક કુલ ૧૪ ડેડબોડી ઉતારવામાં આવી હતી.
શહેરના ડેપ્યુટી મેયર દિનેશ જાેધાણીએ આજે મ્યુ. કમિશનરને નોંધ મૂકી હતી. નોંધમાં સુરત શહેરમાં તાજેતરમાં સમાવિષ્ટ ૨૭ ગ્રામ પંચાયત અને બે નગરપાલિકા વિસ્તારોમાં આવેલા સ્મશાનગૃહને કાર્યરત કરવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સંજાેગોને ધ્યાને લઇ શહેરની વિવિધ સ્મશાનભૂમિમાં મૃતદેહોની અંતિમવિધિમાં સમય લાગી રહ્યો છે. ગ્રામ પંચાયત સાથે મળી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.
સ્મશાનભૂમિમાં આવી રહેલી ડેડબોડીના આંકડાઓ ઉપર અશ્વનીકુમારમાં પણ ઢાંકપિછોડો કરાઇ રહ્યો છે. કોવિડ અને નોન-કોવિડ મૃતદેહોનું રજિસ્ટર અલગ અલગ હોવાનું જુઠ્ઠાણું ચલાવાઇ રહ્યું છે. આ પ્રકારે હકીકત ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે. જાેકે, આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સ્મશાનભૂમિમાં દિવસ-રાત ચિતા સળગી રહી છે. તેમાંય મોટા ભાગના મૃતદેહોના કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.
Recent Comments