ગુજરાત

સુરતવાસીઓ એક જ દિવસમાં ૮ કરોડની ઘારી ખાઈ ગયા

ચંદની પડવાએ ઘારીનો સ્વાદ માણવા માટે સુરતીઓ ઉત્સુક છે. છેલ્લા કેટલાક દિવસથી અને ખાસ કરીને પડવાની પૂર્વસંધ્યાએ લોકોએ મીઠાઈની દુકાનોની બહાર કતારો લગાવી દીધી હતી.ચંદી પડવાના દિવસ પહેલાં જ શહેરમાં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે. ચંદી પડવા માટે સુરતમાં દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ છે. જાેકે ચંદી પડવા પહેલાં જ શહેરમાં અંદાજે ૧.૩૦ લાખ કિલો ઘારી વેચાઈ ગઈ છે. અંદાજે ૮.૦૬ કરોડ રૂપિયાની સુરતમાં ઘારી વેચાઈ ગઈ છે. સુરતમાં ૯થી ૧૦ મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. બીજી તરફ, આ વર્ષે મીઠાઈની દુકાનોમાં શુગર ફ્રી ઘારી વધારે વેચાઈ રહી છે.

અત્યારસુધીમાં શહેરની તમામ મીઠાઈ શોપ મળીને અંદાજે ૧૦ હજાર કિલો જેટલી શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે. ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુમૂલ ડેરી દ્વારા ૫ હજાર કિલો શુગર ફ્રી ઘારી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ ચંદી પડવો આવે એ પહેલા જ તમામ શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ હતી. શહેરમાં અંદાજે ૧૦ હજાર કિલો શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે. સુમૂલ ડેરીએ ગત વર્ષે કુલ ૮૦ હજાર કિલો ઘારી બનાવી હતી, જેમાં ૧૫૦૦ કિલો શુગર ફ્રી ઘારી બનાવી હતી, જ્યારે આ વર્ષે કુલ ૧ લાખ કિલો ઘારી બનાવી છે, જેમાંથી ૫ હજાર કિલો શુગર ફ્રી ઘારી બનાવી છે. જાેકે ચંદી પડવો આવે એ પહેલાં જ સુમૂલની તમામ શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે.

શુગર ફ્રી ઘારીની વધારે માગ હોવાથી સુમૂલ દ્વારા બીજી શુગર ફ્રી ઘારી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ૨૪ કેરેટ મીઠાઈના રોહન ઘારીવાલા કહે છે, આ વર્ષે વિદેશોમાંથી પણ ઓર્ડર છે. શુગર ફ્રી ઘારીનો કોન્સેપ્ટ પણ વધ્યો છે. લોકો ઓનલાઈન પણ ઘારીના ઓર્ડર કરી રહ્યા છે. અમે આ વર્ષે નાનાં બાળકોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ચ્યુમગમ જેવા સ્વાદની બબલગમ ઘારી બનાવી છે.’ હાલ શુગર ફ્રી મીઠાઈનો કન્સેપ્ટ વધ્યો છે. ખાસ કરીને કોરોના પછી લોકો હેલ્થની કાળજી રાખતા થયા છે, માટે જેમને મીઠાઈ ખાવી હોય અને હેલ્થની કાળજી રાખવી છે તેમના માટે શુગર ફ્રી મીઠાઈ બેસ્ટ છે અને હેલ્ધી પણ છે.

Related Posts