દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દી સારવાર માટે આવે છે. જેમાં કેટલાક દર્દીઓને દાખલ કરવામાં આવે છે. અહીંના ઓપરેશન થિયેટરમાં ઇમર્જન્સી સહિત નાના-મોટી મળી રોજની ૧૦૦ જેટલી સર્જરી કરવામાં આવી રહી છે. દર્દીઓને ઇન્ફેક્શન નહીં લાગે અને ડોક્ટર સારી રીતે ઓપરેશન કરી શકે તે માટે સરકાર દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે વિવિધ વિભાગો માટે ૯ મોડયુલર, ૯ સેમી મોડયુલર અને અન્ય સાદા ઓપરેશન થિયેટર બનાવેલા છે. પણ હાલમાં ઓર્થોપેડીક સહિતના કેટલાક ઓપરેશન થિયેટરમાં નાની-મોટી ખામીઓ અને સમસ્યા જોવા મળી રહી છે.
આ સિવાય કેટલાક ઓપરેશન થિયેટરમાં ફોલ સીલિંગ તુટેલુ, ફ્લોરિંગ તૂટેલા, હાથ ધોવાના ટેબલમાં પાણી લીકેજ, પાણી ઉભરાવવા, દરવાજાના કાચ તુટેલો, અમુક દરવાજા બરાબર બંધ નહીં થાય સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સ્મસ્યાઓને પગલે દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની શક્યતા, ડોક્ટરોને ઓપરેશન કરવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળે છે.
સિવિલના અધિકારીએ કહ્યું કે, અગાઉ તમામ ઓ.ટીમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં નાની-મોટી મળી ઘણી ખામીઓ જાણવા મળી હતી. તેથી તાકીદે રીપેરીંગ કરવા માટે પી.આઇ.યુ વિભાગને સુચના આપી હતી. બાદમાં રાજ્યના આરોગ્ય અધિકારીને પણ જલ્દી રીપેરીંગ કરાવવામાં આવે તે અંગે જાણ કરવામાં આવી હતી.અહીં રોજના 100 જેટલાં ઓપરેશન થાય છે. એમાંય ખાસ કરીને જે ઓર્થોપેડિક અને સર્જરી વિભાગ છે એ વોર્ડમાં સૌથી વધારે ઓપરેશન થતા હોય છે. ત્યારે તંત્રની આવી બેદરકારી એ દર્દીઓ માટે સૌથી વધારે જોખમકારક કહી શકાય. સિવિલની તમામ મેન્ટેનન્સની જવાબદારી એ PIO વિભાગની હોય છે. પરંતુ અહીંયા તેની એટલી ઘોર બેદરકારી છે કે આખીય સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર ખખડી ગઇ હોય, સડી ગયું હોય તેવી અહીં હાલત જોવા મળી રહી છે. થોડાં દિવસ પહેલાં વોર્ડની અંદર કૂતરાં ફરતા હતાં તેની વીડિયો વાયરલ થયો હતો. એની પહેલાં બાળકોના વોર્ડમાં જે નવા AC હતા તે બંધ થઇ ગયા હતાં. આવી અનેક બેદરકારી સિવિલમાં જોવા મળી રહી છે.
– જ્યાં ભેજ છે તેમાં કીડા પડેલા છે, જેનાથી દર્દીઓને ઇન્ફેક્શન લાગી શકે.
આ અંગે સમાજસેવી ધર્મેશભાઇએ જણાવ્યું કે, ‘અમે હંમેશા મીડિયા દ્વારા જાણતા હોઇએ છીએ કે, 200 કરોડના ખર્ચે, 300 કરોડના ખર્ચે હોસ્પિટલનું નવીનીકરણ થઇ રહ્યું છે. પરંતુ હાલમાં ઓપરેશન થિએટરની જે પરિસ્થિતિ છે એની અંદર જે તૂટેલી ચીજવસ્તુઓ છે, જે ભેજ ખાઇ ગયું છે, કોરોના કાળ દરમ્યાન લોકોને માસ્ક પહેરવાની સલાહ આપતા હોય છે ત્યારે એ જે ભેજ છે તેમાં કીડા પડેલા છે તો શું તેનાથી દર્દીઓને ઇન્ફેક્શન ના લાગે? ચોક્કસથી લાગે એટલે તંત્રની આવી બેદરકારી બિલકુલ ચલાવી ના લેવાય.
Recent Comments