ગુજરાત

સુરત પાલિકાએ કલર કાર્ડ ઇશ્યૂ કર્યા, સપ્તાહમાં એક વાર કોરોના ટેસ્ટ ફરજિયાત

કોરોનાની બીજી લહેર દરમિયાન માર્કેટ સહિત કોર્મિશયલ વિસ્તારના વેપારીઓએ તંત્રની હેરાનગતિને મુદ્દે બળાપો કાઢયો હતો. દુકાનદારો માટે સપ્તાહમાં એક વખત કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો હતો. માર્કેટના દરવાજે પોલીસ અને પાલિકાતંત્ર દ્વારા કડકાઇ દાખવવામાં આવી હતી. વેપારીઓ અને દુકાનદારો સાથેનું ઘર્ષણ કહો કે સંઘર્ષ ટાળવા પાલિકાએ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા. સાથોસાથ સપ્તાહમાં એક દિવસ કોરોના ટેસ્ટ અનિવાર્ય હોવાનો નિયમ અમલમાં મૂક્યો હતો. કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ છે.

ત્રીજા તબક્કાની તૈયારીના ધમધમાટ વચ્ચે પાલિકા તંત્રે વેપારીઓ અને દુકાનદારો માટે જાહેર કરેલા હેલ્થ કાર્ડને અપગ્રેડ કર્યો છે. શહેરના વેપારીઓ બિનજરૂરી હેરાનગતિ કે પજવણી વિના શાંતિમય અને મુક્ત માહોલમાં ધંધો કરી શકે તે માટે મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ કોર્મિશયલ સંસ્થાઓ, વેપારીઓ, દુકાનદારો માટે કલર કોડ સાથેના સ્પેશિયલ કાર્ડ અમલમાં મૂક્યા છે.

સુરત મહાપાલિકાના આ નવતર પ્રયોગથી દુકાનદાર કે ત્યાં નોકરી કરનારા વ્યક્તિથી સામેવાળાને કોરોનાનું જાેખમ છે કે નહીં? તેની કલર કાર્ડથી જાણકારી મળી જશે. રસીના બે ડોઝ લેનારા અને કોરોનાને હરાવનારા ધંધાદારી વ્યક્તિને તંત્ર તરફથી ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવાનું શરૂ કરાયું છે. પાલિકા દ્વારા અત્યાર સુધી ૧,૩૯,૦૬૫ વેપારી અને દુકાનદારોને વ્હાઇટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, વેપારી કે દુકાનદાર અથવા ત્યાં નોકરી કરતા વ્યક્તિઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હશે તો વ્હાઇટ કાર્ડ આપવામાં આવશે. આ વ્યક્તિએ સપ્તાહમાં એક વખત કોરોના ટેસ્ટ ફરજિયાતપણે કરાવવાનો રહેશે. વ્હાઇટ કાર્ડમાં કોરોના પરિક્ષણની તારીખ, રિપોર્ટ અને સહી-સિક્કા કરવામાં આવશે. કાર્ડમાં સંસ્થાનું નામ, દુકાનદારનું નામ, ઝોન અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવશે.

આ જ પ્રમાણે વ્યક્તિ કોરોનામાંથી રિકવર થયો હશે તો તેને ગ્રીન કાર્ડ અપાશે. તેમાં કોવિડ પોઝિટિવ ક્યારે થયા હતા. તેની તારીખનો ઉલ્લેખ કરાશે. કોરોનામાંથી રિકવર ક્યારે થયા તેની પણ માહિતી દર્શાવાઇ હશે. રસીનો પ્રથમ અને બીજાે ડોઝ કઇ તારીખે લીધો તેની પણ ગ્રીન કાર્ડમાં નોંધણી કરાશે.

શહેરના રિંગરોડ વિસ્તારમાં ૧૬૫ કાપડ માર્કેટ આવેલી છે. ૭૦ હજારથી વધુ દુકાનોમાં લાખો લોકો કામ કરી રહ્યાં છે. આ તમામ વેપારીઓ, દુકાનદારો અને નોકરી કરનારાઓ સહિત તમામ ઝોન વિસ્તારમાં આવેલી દુકાનોના વેપારીઓ અને કર્મચારીઓને કલર કોડ સાથેના હેલ્થ કાર્ડ ઇશ્યૂ થશે. શહેરમાં પાંચ લાખથી વધુ કોર્મિશયલ સંસ્થાઓ આવેલી છે. પાલિકા દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Related Posts