ગુજરાત

સુરત વોર્ડ નં.૨માં આપ કોર્પોરેટર ગુમ થયા હોવાના બેનરો લાગ્યા

સુરત શહેરના વોર્ડ નંબર બેની અંદર વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો સંપર્ક કરીને એમના કેટલાક પ્રશ્નો અંગેની રજૂઆત કરવામાં આવી હતી. તે કામ પૂર્ણ ન થતા સ્થાનિક યુવાનો દ્વારા બેનરો લગાડવામાં આવ્યા છે. બેનરોમાં આપના કોર્પોરેટર ગુમ થઈ ગયા છે તેવું લખાણ લખવામાં આવ્યું છે. કોર્પોરેટરોને કેટલાક મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમનું કામ ન થયું હોવાનું જાણવા મળ્યું છે.

વોર્ડ નંબર ૨માં ડ્રેનેજને લઈને પણ ઘણા સમયથી મુશ્કેલીઓ સામે આવી રહી હતી. સોસાયટીની અંદર લાઈટનો પ્રશ્ન છે તે ઘણા સમયથી હોવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. બીજી તરફ હાઇવે ઉપર લાઈટો ન હોવાને કારણે રોજના ગાયોના અકસ્માતો થઈ રહ્યા છે. જેને લઇને પણ વારંવાર રજૂઆત છતાં આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવાયા નથી. હાઈવેની પેરેરલ જે રસ્તા છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં થઈ ગયા છે તેનો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. ચોમાસા દરમિયાન લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૌમાતા ગ્રુપના સભ્ય દેવ પટેલે જણાવ્યું કે વારંવાર પશુઓના અકસ્માત થતાં તેમને ઈજા પહોંચી રહી છે. ઘણી વખત તો ગાયના મોત થવાની ઘટના પણ બને છે પરંતુ તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રોજના અકસ્માત થઈ રહ્યા હોવા છતાં પણ સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે અને કોર્પોરેટરો યોગ્ય રીતે પોતાની માંગને ત્યાં કોર્પોરેશનમાં રજૂ નથી કરી રહ્યા. જેને લઇને અમે વેલેનજા અને ઉમરા વિસ્તાર માં બેનર લગાડીને મારો રોષ વ્યક્ત કર્યો છે. ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા ને પણ આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ તે પણ ઉડાઉ જવાબ આપી રહ્યા છે.

Follow Me:

Related Posts