રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ સફળ રહ્યા બાદ હવે સૌરાષ્ટ્રના શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે આથી હવે નાના શહેરોમાં પણ વીજળી ‘મટકું’ નહી મારે, શહેરોમાં હવે ૨૪ કલાક વીજળી મળે તેવો રોડમેપ પીજીવીસીએલના નવ નિયુકત મેનેજીંગ ડીરેકટર ધિંમત વ્યાસે તૈયાર કર્યો છે.
વીજ કંપનીના એમ.ડી ધિંમત વ્યાસે વધુમાં જણાવ્યું હતું દર વર્ષે સૌરાષ્ટ્રના પાંચ શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે આ માટે અત્યારે વીજ કંપની દ્રારા શહેરોનો સર્વે શરૂ કરવામાં આવી રહ્યો છે પ્રથમ તબકકામાં પાંચ શહેરોની પસંદગી કરવામાં આવશે. સંભવીત કુદરતી આફતોમાં શહેરોમાં વીજ પુરવઠો નહી ખોરવાઈ તેવી વ્યવસ્થાનું અમલીકરણ કરવાની વિચારણા ચાલી રહી છે.
વીજ કંપની દ્રારા શહેરોમાં સુવિધા વધારવા માટે દર વર્ષે બજેટ તૈયાર કરવામાં આવે છે વીજ કંપનીના આગામી બજેટમાં પાંચ શહેરોનો સમાવેશ કરી લેવામાં આવશે ત્યાં સુધીમાં શહેરોની પસંદગી પણ કરી લેવામાં આવશે. સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડામાં જયોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવે છે શહેરો-તાલુકામાં ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું પ્લાનીંગ ગોઠવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં આવેલ તોકતે વાવાઝોડાના કારણે વીજ કંપનીને સૌથી વધુ ૧૪૦૦ કરોડનું નુકશાન થયું છે વીજ કંપનીના ૦૩ લાખથી વધુ થાંભલા જમીનદોસ્ત થયા છે. આવા વાવાઝોડાના કારણે વીજ કંપનીને નુકશાન ન થાય તે માટે હવે શહેરોમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ વિચારણામાં છે.
વાવાઝોડાથી વીજ કંપનીએ બોધપાઠ લીધો છે કંપની દ્રારા ઉપયોગમાં લેવામાં આવતા વીજ ઉપકરણો અને સાધન સામગ્રી વાવાઝોડા સામે ટકી રહે તેવી ડિઝાઈનવાળી બનાવવામાં આવશે જેમાં ટ્રાન્સમીટર, ટાવર, થાંભલા સહિતની ડીઝાઈન બદલવામાં આવશે.
Recent Comments