સૌરાષ્ટ - કચ્છ

હરામીનાળામાં થયેલા સંખ્યાબંધ રાઉન્ડ ફાયરીંગ બાદ બે શખ્સો ઝડપાયા

બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભુજ ટીમ દ્વારા હરામીનાળા વિસ્તારમાં કાર્યવાહી કરીને ૩ અને ૬ મળી કુલ ૯ પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી લેવામાં આવી હતી પણ કાર્યવાહી દરમ્યાન એકપણ ઘૂસણખોર હાથ લાગ્યો ન હતો જેથી બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવતા આ વિસ્તારમાંથી બે ઘૂસણખોર ઝડપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સૂત્રોના આધાર પ્રમાણે જાે એવું કહી શકાય છે કે ભારતીય સીમામાં ઘુસી આવેલા ૨૫ જેટલા પાકિસ્તાની શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. બોટ મળ્યા બાદ શુક્રવારે બીજા દિવસે બીએસએફના જવાનો દ્વારા કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું બે ઘૂસણખોરો ઝડપાયા હતા. ચેરિયાના જંગલમાં છૂપાયેલા શખ્સો અંધારુ પડતા પોતાના દેશમાં જવાની ફિરાકમાં હતા અને ખાવડાના રણ માર્ગે ભાગતા હતા ત્યારે અહીં તૈનાત જવાનો જાેઇ જતાં તેઓને પકડવા માટે સંખ્યાબંધ રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું જે બાદ બે શખ્સો ઝડપાયા હતા.

ફાયરીંગમાં બંનેને પગના ભાગે ગોળી વાગતાં સારવાર માટે ખાવડા લઇ જવામાં આવ્યા હતા. બોર્ડર પીલર નંબર ૧૧૪૨ પાસેથી ઝડપાયેલા પાકિસ્તાની નાગરીકોનું નામ સદામ હુસેન ગુલામ મુસ્તફા અને અલીબક્ષ ખેરમોહમદ હોવાનું અને તેઓ જીરો પોઇન્ટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીએસએફએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ ૩૦૦ ચોરસ કિ.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલા હરામી નાળામાં સર્ચ ઓપરેશનની સાથે ભાગવાના તમામ રસ્તા બંધ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરતાં આ બે જણા ઝડપાયા છે. દરમિયાન સૂત્રો જણાવે છે કે,આ ૯ પાકિસ્તાની બોટમાં ૨૦ થી ૨૫ પાકિસ્તાની માછીમારો ભારતમાં આવ્યા હોઇ શકે જે એજન્સીઓને જાેઈને ભાગી ગયા છે. ઝડપાયેલી બોટ સંદર્ભે પંચનામું કરીને કસ્ટમ વિભાગને સોંપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

Related Posts