અમરેલી

હિંસાથી પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી મળ્યું નવજીવન

હિંસાથી પીડિત વધુ એક મહિલાનું પતિ સાથે સુખદ સમાધાન કરાવી અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી છે. પીડિત બહેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. આ બહેનને તેના પતિ દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને રેલવે સ્ટેશન પર તેમની ચાર દીકરીઓ સાથે અંતિમ પગલું ભરવા માટે ગયા હતા, જ્યાં તેને અન્ય બે બહેનો જોઈ જતા તેમને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ પર મદદ માટે મુકવા માટે આવ્યા હતા. અહી સેન્ટર પર બહેન આશ્રયમાં હતા. ત્યારે તેમના પતિ તથા સાસરીયાને સેન્ટર પર કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બંને પક્ષોને પોતાની ભૂલ થઈ છે અને હવે પછી આવું કશુ જ નહિ થાય તેવું કહેતા સખી વન સ્ટોપ સેન્ટર પર બંને પક્ષ નું સમાધાન થયું હતું. બહેન તેમની ચાર દીકરીઓ અને તેમના પતિ સાથે સાસરીયે ગયેલ છે.

આમ, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયત્નોથી અને સમજાવટથી બહેનના પતિને પોતાની ભૂલ સમજાયેલ છે અને હવે પછી ભૂલ નહિ કરે તેમ જણાવ્યું હતું. આમ, સેન્ટર પર આશ્રયમાં રહેલી બહેનનું તેના પરિવારમાં પુનઃ સ્થાપન થયેલ છે. જેમાં અત્યાર સુધીમાં ૧૪૦૨ જેટલી હિંસાથી પીડિત બહેનોને મદદ પૂરી પાડવામાં આવી છે. અમરેલીજિલ્લામાં કોઈપણ ખૂણે રહેલ બહેન અડધી રાત્રે પણ ૧૮૧ દ્વારા વન સ્ટોપ સેન્ટર પર આવીને મદદ મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર પુરસ્કૃત  મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલી, જિલ્લા મહીલા અને બાળ અધિકારીશ્રી, તેમજ દહેજ પ્રતિ બંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન નીચે અમરેલી  સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી  ૨૪*૭ કાર્યરત છે. આ સેન્ટરમાં હિંસાથી પીડિત બહેનોને જુદી જુદી મદદ પૂરી પાડવામાં આવે છે. જેમાં પોલીસ મદદ, કાનૂની મદદ, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમ સેન્ટર એડમીનીસ્ટ્રેટર, સખી વન સ્ટોપ સેન્ટર, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts