સૌરાષ્ટ - કચ્છ

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા કેપ્ટન વરુણસિંહ ગાંધીધામમાં અભ્યાસ કર્યો હતો

દુર્ઘટનામાં એકમાત્ર જેમનો બચાવ થયો છે તે વાયુસેનાના ગૃપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝી જતા હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પિતા કે.પી. સિંહ ૫૦ એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા, જેમનું ૧૯૯૫માં ગાંધીધામ ટ્રાન્સફર થયું હતું. તે દરમિયાન તેમના પુત્ર વરુણ સિંહ સહિત પરિવાર ગાંધીધામના તે સમયે મીઠીરોહર વિસ્તારમાં રહેલા બીએસએફ કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. તે સમયે તેમની સાથે ફરજ નિભાવનાર મિત્ર અને હાલ નિવૃત મેજર પોલ સિંહએ જણાવ્યું કે તેમના બન્ને પરિવારો વચ્ચે ગાઢ સબંધો હતા, તેમનો પુત્ર અને વરુણ સિંહ બન્ને સાથે અભ્યાસ કરતા હતા. વરુણ તેમના વિધાર્થીકાળથીજ હોશિયાર અને બુદ્ધિશાળી હતો, આગળ જતા પિતાના નકશે કદમમા ચાલીને એરફોર્સમાં જાેડાઈ ગૃપ કેપ્ટન બન્યા. વરુણ સિંહે પોતાના વિધાર્થી કાળમાં ધો. ૭,૮,૯ની શિક્ષા ઈફ્કો કોલોનીમાં સ્થિત કેન્દ્રીય વિધાલયમાં મેળવી હતી. તે સમયે તેમના સહપાઠી રહેનાર અભિષેક વ્યાસે જણાવ્યું કે તે છાત્રકાળમાં તેજસ્વી હતા, ત્યારબાદ સોશ્યલ મિડીયાના માધ્યમથી જાેડાયેલા હતા. ગાંધીધામમાં ઉ. ક્ષત્રિય સમાજના અગ્રણી સંતોષપાલ સિંહ અને કેપી સિંહ સારા મિત્ર છે, તેમણે સાથે વિતાવેલી બડા ખાના સહિતની સ્મૃતિઓ મમળાવતા સિંહ પરિવારને જિંદાદિલ અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. મેડિકલ બુલેટીન્સ આગામી કેટલાક કલાકો વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે ગંભીર હોવાનું કહી રહી છે ત્યારે દેશભર સાથે ગાંધીધામથી પણ તેમના સ્વાસ્થ્યમાં જલદી સુધારા માટે પ્રાર્થના થઈ રહી છે ગૃપ કેપ્ટન વરુણ સિંહએ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના પાઇલટ છે, તેમને આજ વર્ષે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા શોર્યચક્રથી સન્માન કરાયું હતું. કેપ્ટન વરુણ સિંઘે ૨૦૨૦માં પોતાની જાનની પરવાહ કર્યા વીના એલસીએ તેજસ ફાઈટર એરક્રાફ્ટ ઉડાન ભરી રહ્યું હતું ત્યારે એર ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને બચાવી લીધું હતું. તેવો હાલ તમીલનાડુના વેલીંગટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટીંગ સ્ટાફ તરીકે ફરજ નિભાવી રહ્યા છે.સમગ્ર દેશ સીડીએસ રાવત સહિત ૧૩ ની હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોતની સ્તબ્ધ અને શોકમાં છે, ત્યારે આ સમગ્ર ઘટનામાં એકમાત્ર બચનાર અને હાલ સારવાર હેઠળ વરુણ સિંહએ પોતાના વિધાર્થી કાળમાં ગાંધીધામમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાથી અહિ સ્થિત તેમના મિત્રોએ તેમના આરોગ્યમાં જલદી સુધારો આવે તેવી પ્રાર્થના સાથે બાળપણની સ્મૃતિઓ મમળાવી હતી. દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત ૧૩નું તમિલનાડુમાં હેલીકોપ્ટર ક્રેશથી મૃત્યુ થતા દેશભરમાં આઘાતની લાગણી છે.

Related Posts