અમરેલી જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલ, ક્લિનિક-સંસ્થાઓમાં બિન અધિકૃત્ત લોકોની અવરજવર પર દેખરેખ માટે અને જાતીય પરીક્ષણના ગુન્હાઓ રોકવા માટે સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાતપણે લગાડવાના રહે છે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ પીસીપીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ, હોસ્પિટલ, ક્લિનિકમાં ફરજિયાતપણે ૩૦ દિવસના ૨૪/૦૭ ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ સાથેના સી.સી.ટી.વી. કેમેરા જે તે સ્થળને સંપૂર્ણપણે આવરી લે તેવી રીતે લગાડવાના અને કાર્યરત રાખવાના રહેશે.
સોનોગ્રાફી થતી હોય તેવાં રુમમાં અધિકૃત્ત વ્યક્તિ/દર્દી સિવાયની વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત જે રુમમાં સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં પણ સી.સી.ટી.વી કેમેરા લગાડવાના રહેશે. નક્કી કરેલા સોનોગ્રાફી રુમમાં પ્રવેશ કરતા સમયે અને બહાર નીકળતા સમયે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટપણે દેખાય તેવી રીતે સી.સી.ટી.વી. લગાડવાના રહેશે. જરુર જણાય ત્યારે સંબંધિત અધિકારીશ્રીઓને આ રેકોર્ડીંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે તે આપવાનું રહેશે. જો, બેક અપમાં કોઈ ત્રુટિ જણાશે તો સંબંધિત સંસ્થાની જવાબદારી નક્કી કરી તેમની સામે પીસીપીએનડીટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામું અમરેલી જિલ્લામાં આગામી તા.૦૪ એપ્રિલ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામા આવશે. આ જાહેરનામાં અંતર્ગત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને આ હુકમનો ભંગ કરાનાર ઇસમો સામે ફરિયાદ કરવા માટે અધિકૃત્ત કરવામાં આવ્યા છે.
Recent Comments