અમરેલી

૨૫ એપ્રિલ એટલે વિશ્વ મેલેરીયા દિવસ – મેલેરીયા મુકત ગુજરાત ૨૦૨૨ અભિયાન, આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા અટકાવવા કેટલાક સૂચનો

મેલેરીયાએ માદા એનોફલીસ મચ્છરથી ફેલાતો તાવ છે. આ મચ્છર મેલેરીયાના દર્દીને કરડી અને ચેપી બને છે. આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે તો તે વ્યક્તિને ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરીયા થાય છે.

મેલેરીયાના લક્ષણોની વાત કરીએ તો દરરોજ અથવા એકાંતરા દિવસે ટાઢ વાઇને સખત તાવ આવવો. દર્દીને માથુ દુ:ખવું, શરીરમાં કળતર થાય ,ઉલ્ટી કે ઉબકા થવા. તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળવો,દર્દી નું લોહી ઓછું થઇ જવું અને નબળાઇ લાગવી.

મેલેરીયાની સારવાર માટે તાવ આવે ત્યારે તમારા ગામના આશા બહેનો ,આરોગ્યકર્મી કે નજીકના આરોગ્ય કેન્દ્રો પર જઇ લોહીની તપાસ કરાવી તાવનું નિદાન કરાવો. સરકારી દવાખાના/સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેલેરીયાની સારવાર મફત આપવામાં આવે છે.

મેલેરીયાથી બચવા આરોગ્ય તંત્ર દ્વારા કેટલાક સુચનો આપવામાં આવ્યા છે. મચ્છરો ઘરની આજુબાજુ ભરાઇ રહેતા ચોખ્ખા  પાણીમાં ઈંડા મુકે  છે અને તેમાંથી મચ્છર બને છે. આવા પાણીને વહેવડાવી અથવા માટીપુરાણ કરાવી પાણીનો નિકાલ કરવો. ફુલદાની, કુલર, સીમેંન્ટના ટાંકાઓ, પાણીની કોઠીઓ, ટીપડાઓ વિગેરેનું પાણી એકાંતરા દિવસે બદલો તેમજ પાણી ભરેલા વાસણો દર ચોથા દિવસે ખાલી કરો અને અંદરની સપાટી ઘસીને સાફ કરો અને પછી સુકવી ચુસ્ત ઢાંકણથી બંધ કરો. મોટી તથા નાની પાણીની ટાંકીઓમાં પોરાભક્ષક માછલીઓ મુકો. ઘરના ફળીયામાં કે તુટેલા માટલાઓ, ખાલી શીશીઓ, ડબલા, જુના ટાયરો દુર કરો કારણકે વરસાદનું પાણી તેમાં ભરાવાથી ત્યાં પણ મચ્છર ઉત્પતિ થાય છે. માણસ અને મચ્છર વચ્ચેનો સંપર્ક અટકાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. રીપેલન્ટનો ઉપયોગ કરો. વહેલી સવાર અને સંધ્યા સમયથી જ મકાનોના બારી બારણાં બંધ રાખો અને કડવા લીમડાનો ધુમાડો કરવો. શરીર પુરતું ઢંકાય તેવા કપડા પહેરો. આ સૂત્રને ધ્યાનમાં રાખીએ ‘જેને નથી પગ અને પાંખો, તેને જુએ મારી અને તમારી આંખો, તે પોરાને જયાં જુઓ ત્યાં મારી નાંખો.’

Related Posts