ગુજરાત

૩.૫ કલાકમાં વડોદરાથી મુંબઈ પહોંચાશે : નિતિન ગડકરી


કેંદ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂપિયા ૩૪.૫૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણા, સાસંદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમૂહુર્ત કર્યું હતું. આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું રૂપિયા ૧ લાખ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કેંદ્ર સરકાર દ્વારા હાલમાં રૂપિયા ૧.૨૫ લાખ કરોડના માર્ગોનું કામ ચાલી રહ્યું છે અને વધુ ૧.૨૫ લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

કેદ્રીય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવામાં આવશે. ગુજરાતમાં ૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કિલોમીટરના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ પૈકી ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે. વડોદરા-અંકલેશ્વર ૧૦૦ કિ.મી. માર્ગનું કામ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. આ માર્ગ પર યાત્રિકો માટે ૩૩ સ્થળોએ વિવિધ સુવિધા ઊભી કરવામાં આવશે. ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલસામાનની હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવાશે. તેમણે ઉમેર્યું કે, ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે રૂપિયા ૩ હજાર કરોડના ખર્ચે આકાર લેશે. ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ થઈ રહેલા વિવિધ માર્ગોની તેમણે જાણકારી આપી હતી.

Related Posts