સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણ પામી રહેલા અંડરબ્રિજનું કામ આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં પૂરું થઈ જશે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે. આ બ્રિજ વૈષ્ણોદેવી સર્કલ પાસે બની રહ્યો છે. આ ચાર રસ્તા પર થોડા દિવસ પહેલા જ ૬ લેનના ફ્લાઈઓવરનું કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.
૩૧ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા આ પ્રોજેક્ટનું સંચાલન નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેઓ સરખેજ-ગાંધીનગર હાઈવેના ૬ લેન પ્રોજેક્ટને પણ સંભાળી રહ્યા છે.
એનએચએઆઇના અધિકારીઓનું કહેવું છે કે, ઔડા (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ એનએચએઆઇને ફંડ આપી દીધું છે અને એસ.પી. રિંગ રોડની પેરેલલ જ અંડરપાસ બનાવાનું કામ સોંપ્યું છે. અંડરપાસ બનાવાનું કામ શરૂ થઈ ગયું છે અને ડિસેમ્બર ૨૦૨૧ સુધી કામ પૂરું થઈ જશે, તેમ અધિકારીઓએ ઉમેર્યું.
આ જંક્શન પર ખૂબ ટ્રાફિક જાેવા મળે છે ત્યારે નિર્માણ પામી રહેલા અંડરબ્રિજ અને થોડા સમય પહેલા ખુલ્લા મૂકાયેલા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ફ્લાયઓવરની જેમ અંડરબ્રિજ પણ ૬ લેન હશે, તેમ અધિકારીઓએ કહ્યું.
એસજી રોડ અને એસપી રિંગ રોડ પરથી પસાર થતો લગભગ ૮૫ ટકા ટ્રાફિક આ જંક્શન પરથી આવે છે જે સીધું બંને રોડ સાથે જાેડાયેલું છે. એસજી હાઈવેથી આવતો માત્ર ૧૫ ટકા ટ્રાફિક રિંગ રોડ તરફ વળે છે અને રિંગ રોડથી એસજી હાઈવે પર વળતાં વાહનોની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે.
છેલ્લા ૧૦ વર્ષોમાં એસજી રોડ અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત રોડ બની ગયો છે અને અહીં ઘણીવાર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળે છે. “અમદાવાદ અને ગાંધીનગર બંને એકબીજા તરફ વિસ્તરી રહ્યા છે ત્યારે ગાંધીનગર આવતા-જતાં વાહનોની સંખ્યા વધી છે. રોડ પર મલ્ટીપલ લેન બનાવાથી તેમજ ફ્લાયઓવરો અને અંડરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે”, તેમ ઔડાના અધિકારીઓએ જણાવ્યું.
Recent Comments