ગુજરાત

સુરતઃ ૮૨ વર્ષના વૃદ્ધાને હાર્ટ એટેક આવ્યાના ૧૫ દિવસમાં કોરોનાને હરાવ્યો

વધી રહેલા કેસની સામે સકારાત્મક અભિગમ દાખવી સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જહાંગીરાબાદના ૮૨ વર્ષના વૃદ્ધાને હાર્ટ એટેક આવ્યાના ૧૫ દિવસમાં કોરોના થયો હતો અને પોઝિટિવ વિચારોથી સાજા થઇ ગયા છે, જ્યારે ૨૪ વર્ષની યુવતીને કોરોના થયા બાદ સાત દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા મેળવી છે.

મૂળ પ્રયાગરાજના સંધ્યા રાજપુતનો ૮મી એપ્રિલે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ થયા હતાં. ડો. કોવિડ ઓપીડીના ઇન્ચાર્જ ડો.પારૂલ વડગામા જણાવે છે કે,‘સંધ્યાબેનનું ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું હતું, જેથી તેઓને ૧૫ લિટર ઓક્સિજનની જરૂરિયાત હોવાથી બાયપેપ પર રખાયા હતાં. આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપ્યું હતું. ડી-ડાયમર લેવલ વધુ હોવાથી લોહી ગંઠાઇ ન જાય તે માટેની સારવાર શરૂ કરી હતી. ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થતાં ૧૫મીએ રજા આપવામાં આવી હતી.

જહાંગીરાબાદના ૮૨ વર્ષના સવિતાબેન પ્રજાપતિને ૨૯મી માર્ચના રોજ હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બાદમાં આરટીપીસીઆર ટેસ્ટ કરતાં કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સતત ૧૫ દિવસની લડાઇ બાદ વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી છે, જેથી સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સારવાર દરમિયાન જ્યારે કેનેડા રહેતી દિકરી વિડીયો કોલ કરતી ત્યારે સવિતાબેન કહેતા હતાં કે,‘દિકરી મને કંઇ જ થવાનું નથી, હું સાજી થઇ જઇશ. મારી ચિંતા કરતી નહીં.’ સવિતાબેનના દિકરા મનોજભાઇએ કહ્યું હતું કે,‘આવી પરિસ્થિતિમાં પણ મારા માતા સાજા થઇ શકતા હોય તો દર્દીઓ સકારાત્મક વલણ અપનાવે તો તેઓ પણ સાજા થઇ શકે છે.’

Related Posts