ભાવનગર

ભાવનગરના જૈફ વયના રજનીબેન મોદીએ માતૃભૂમિનું ઋણ ચૂકવતાં પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧.૫૦ લાખ તથા પી.એમ. કેર્સ ફંડમાં રૂ.૩ લાખનું દાન કર્યું

ભાવનગરના ૮૫ વર્ષની જૈફ ઉંમર ધરાવતાં શ્રી રજનીબેન જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનુ ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ.હેમેન્દ્રભાઇ જમનાદાસ મોદીની સ્મૃતિ રૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦/- તથા પી.એમ. કેર્સ ફંડ માં ૩,૦૦,૦૦૦/- જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત- ૨૦૭૮ ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ પ્રેરણાદાયી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

નૂતન વર્ષના પ્રારંભે આજે કલેકટર કચેરી ખાતે આવીને તેમણે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેને હાથોહાથ આ બંને ચેક સુપ્રત કર્યા હતાં.

કલેકટરશ્રીએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું કે, સમાજજીવનમાંથી ઉદ્દાત ભાવથી આવતી આવી દાનની સરવાણી દ્વારા જ આપત્તિ સમયે દેશ અને રાજ્ય પર આવતી વિપદાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે,રજનીબેન શૈક્ષણિક ક્ષેત્રે રઘુકુળ વિદ્યાલયમાં ‘’શિશુવાટિકા’’ નું નિર્માણ કરાવેલ છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક તેમજ આઘ્યાત્મિક ક્ષેત્રે ૫ણ પ્રવૃત્તિમય છે.

આ ઉ૫રાંત તેઓ ભાવનગર નાગરિક સરકારી બેંક (લીડ બેંક) ના કમિટિ મેમ્બર તરીકે પણ તેમની સેવા આપે છે.

કોરોના સમયે ૫ણ તેમણે પી.એમ. કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મોટી રકમ આપી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.

એકલવાયુ જીવન જીવતાં ૮૫ વર્ષની જૈફ વયે ૫ણ તેઓ તંદુરસ્ત છે અને પોતે પોતાનું કામકાજ ૫ણ જાતે જ કરે છે.

Follow Me:

Related Posts