રાજકોટમાં માત્ર ચાર હજારની લેતી-દેતીમાં હુમલો કરતાં યુવકનું મોત

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી વીંગ ફ્લેટ નંબર ૩૦૪ માં રહેતા મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડીયા(ઉ.વ.૩૩) નામના યુવાન પર સમી સાંજના અક્ષર માર્ગ પાસે શિવ પાન નજીક હાર્દિકસિંહ જાડેજા તથા દીપ લાઠીયા નામના શખસે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો જેમાં યુવાનને પડખાના ભાગે, હાથના ભાગે મળી કુલ છરીના ત્રણ જેટલા ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર દિવ્યેશને પણ આરોપીઓએ મારમાર્યો હતો.
બનાવના પગલે અહીં લોકો એકત્ર થઈ જતા આ બંને શખસો નાસી ગયા હતા બાદમાં ઘવાયેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જાે કે યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સરાજાહેર બનેલી ઘટનામાં ટોળું એકઠું થઇ ગયું હતું અને બનાવની જાણ માલવીયાનગર પોલીસને થતા પોલીસ ઘટના દોડી ગઇ હતી જ્યાંથી બંને હુમલાખોરને ઝડપી પાડ્યા હતા અને તેની સામે ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જાે કે આજે બનાવ હત્યામાં પરિણમતા બન્ને વિરુધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મૌલિક ઉર્ફે ભોલો એક બહેન બે ભાઈના પરિવારમાં મોટો છે અને તે આજીડેમ ચોકડી પાસે કારખાનામાં ઇમિટેશનનું કામ કરે છે. યુવા. કારખાનામાં તેની સાથે કામ કરતા મિત્ર દિવ્યેશ સાથે બાઈક પર જઈ રહ્યો હતો દરમિયાન હાર્દિકસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને તેણે યુવાનને અહીં અક્ષર માર્ગ પાસે શિવ પાન પાસે બોલાવ્યો હતો. મૌલિક ઉર્ફે ભોલાને હાર્દિકસિંહ પાસેથી રૂ.૪ હજાર લેવાના હોય આ બાબતે તેણે તેને બોલાવ્યો હતો. જેમાં યુવાન અને તેનો મિત્ર અહીં આવ્યા બાદ થોડી વારમાં હાર્દિકસિંહ અને દીપ લાઠીયા આવ્યા હતા.
આ બંનેએ પૈસા બાબતે યુવાન સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ ઉશ્કેરાઇ હાર્દિકસિંહે છરી કાઢી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે યુવકના પિતા ચંદુભાઈ ભગવાનજીભાઈ કાકડીયા (ઉ.વ.૬૩) ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે આરોપી હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયા સામે આઇપીસીની કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. અને હવે તેમાં હત્યાની કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓ પૈકી હાર્દિકસિંહ જાડેજા સામે અગાઉ પણ એ.ડિવિઝન પોલીસ મથકમાં બળજબરીથી વસ્તુ પડાવી લેવા અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ નજીવી બાબતે છરી જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરતા પણ ખચકાટ અનુભવતા નથી. ત્યારે વધુ એક બનાવ શહેરમાં અક્ષર માર્ગ મેઇન રોડ પર બનવા પામ્યો હતો. પૈસાની લેતીદેતી બાબતે પાનની દુકાન પાસે બે શખસોએ સરાજાહેર પટેલ યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો સાથે જ યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ મારમાર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જાે કે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
Recent Comments