સૌરાષ્ટ - કચ્છ

હિંમતનગરમાં ઠેર-ઠેર મંદિરોમાં અન્નકૂટ ભરવામાં આવ્યો, મંદિરોને રોશનીથી શણગાર્યા

દીપાવલી પર્વને લઈને હિંમતનગર સહિત જિલ્લામાં ઠેર ઠેર મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પાલિકા દ્વારા વિવિધ સર્કલો પર પણ રોશની કરવામાં આવી છે. તો શો રૂમ અને બિલ્ડીંગો પણ રોશનીથી શણગારવામાં આવી છે. કાળી ચૌદશે કાલ ભૈરવદાદાના મંદિરે હવન અને ભવ્ય આરતી કરાઈ હતી. અને હિમતનગરમાં વિવિધ મંદિરોમાં ભવ્ય અન્નકૂટ અને આરતી કરવામાં આવી હતી. કાળી ચૌદશે ઇડરના બોલુન્દ્રમાંઆવેલ ગુજરાતનું શિખરબંધી શ્રી કાલ ભૈરવદાદાના મંદિરે હવન યોજાયું હતું. ત્યારબાદ સાંજે ૭૫૧ દીવાઓની ભવ્ય આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાથીઓ હાજર રહ્યાં હતાં. તો હિંમતનગર ટાવર ચોકમાં આવેલા હનુમાનજી મંદિરે અને છાપરિયા ચાર રસ્તે આવેલા હનુમાનજી મંદિરે ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન ભક્તો અને દર્શનાથીઓની મંદિરે ભારે ભીડ જામી હતી.

દીપાવલી પર્વને લઈને હિંમતનગરના કાંકણોલમાં સ્વામીનારાયણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તો હિંમતનગરના ટાવર ચોક, મહાવીરનગરમાં પંચદેવ મંદિર, છાપરીયા હનુમાનજી મંદિર પાલિકા દ્વારા શહેરના ટાવર, સિવિલ, મોતીપુરા સહિતના વિસ્તારમાં આવેલા સર્કલોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શહેરમાં વિવિધ બિલ્ડીંગ અને શોરૂમને પણ રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. તો હિંમતનગર શહેરમાં દીપાવલી પર્વમાં ફટાકડા સહિતની વિવિધ ખરીદી માટે બજારમાં રાત્રિએ ભારે ભીડ જામે છે. હિંમતનગરના ટાવર ચોક આસપાસ બજાર વિસ્તારમાં ખરીદી માટે દિવસે અને રાત્રે ભારે ભીડ જામે છે. જેને લઈને વાહન પાર્કિંગ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે અને સવલત રહે તેને લઈને ટાવર ચોક બગીચા વિસ્તારમાં અને હિંમત હાઇસ્કુલના મેદાનમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ટાવર ચોકમાં અને પુસ્તકાલય પાસે બી-ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જેને લઈને દિવાળીની ખરીદીમાં થતી ભીડથી વાહનનો ટ્રાફિક ના થાય અને સવલત અને સુરક્ષા સાથે નગરજનો ખરીદી કરી શકે છે.

Related Posts