અમરેલી

કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે આદર્શ ગામ દેવરાજીયામાં નવિન સુવિધાઓનું લોકાર્પણ

વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના વતન દેવરાજીયા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે વિકાસકાર્યોનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દેવરાજીયા મુકામે રાજ્ય અને કેન્દ્ર સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્મિત બસ સ્ટેન્ડ, સાંસ્કૃતિક ઝાંખી ગેલેરી, સેલ્ફી પોઈન્ટ, મહાનુભાવોની પ્રતિમાઓ, સૂચિત થિયેટર હોલ, આર.ફિલ્ટર પ્લાન્ટના રુમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.

     આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગ્રામ પંચાયતો સશક્ત બની હોવાનું જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે, ગ્રામ પંચાયતોના બેન્ક એકાઉન્ટમાં સીધી ગ્રાન્ટ જમા થતી હોવાથી પંચાયત મજબૂત બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરપંચશ્રીઓને નાણાપંચની ગ્રાન્ટ ફાળવીને ગામના કામો ગામમાં કરવાનો અધિકારી આપ્યો અને તેના માટે નાણાકીય જોગવાઈ પણ કરી. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ પ્રસંગે દેવરાજીયાના સરપંચશ્રી સગુણાબેન વેકરીયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’નું સૂત્ર દેવરાજીયાએ સાર્થક કર્યુ છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યશ્રીઓને પોતાના મત વિસ્તારમાં એક એક આદર્શ ગામ બને તેવું સૂચન કર્યુ હતુ.

   કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક ઉદ્બબોધન કરતા મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ પોતે વર્ષ ૨૦૦૯માં સરપંચશ્રી તરીકે દેવરાજીયાની વિકાસયાત્રા આરંભી તે વિશે જણાવ્યુ હતુ. તેમણે દેવરાજીયાની વિકાસયાત્રાના પ્રેરણાસ્રોત તરીકે ગામના વિકાસના સપના સાકાર કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ અનુદાન (ગ્રાન્ટ) અને યોજનાઓ અને દેવરાજીયાના દાતાશ્રીઓની લોકભાગીદારીથી આડે મોડલ દેવરાજીયા તૈયાર થયું છે. દેવરાજીયાએ સરકારની ગ્રાન્ટનો ગુણવત્તાસભર ઉપયોગ કરી અને સૌના સહયોગથી આ કાર્ય સિદ્ધ કર્યુ છે. આ પ્રસંગે તેમણે ગામમાં અગાઉ થયેલા વિકાસકાર્યોની માહિતી પણ આપી હતી.

    દેવરાજીયા ગામ અમરેલી-ધારી સ્ટેટ હાઈવે પર જિલ્લાના વડામથકથી ૧૪ કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અને લોકભાગીદારીથી  ગામમાં બાળ ક્રિડાંગણ, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ લાઈન, સિનિયર સીટીઝન પાર્ક, આધુનિક પ્રાથમિક શાળા, આવાસ યોજના, પાણી વિતરણ. પેવર બ્લોક અને આર.સી.સી. રોડ, આધુનિક સુવિધાઓ જેવી કે કોમ્યુનિટી હોલ, જીમ, આર પ્લાન્ટ, પુસ્તકાલય, સી.સી.ટી.વી મોનિટરીંગ વગેરે દ્વારા આદર્શ ગ્રામ સ્વરુપે ગામનો વિકાસ કરવામાં આવ્યો છે.

    કાર્યક્રમના પ્રારંભે ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા, લીંબડી વિસ્તારના ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, રાજકોટના દક્ષિણના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ પશ્ચિમના ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભભાઈ દેથરિયા, જામનગરના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-ખાંભા-બગસરાના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts