વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી વિકાસ યાત્રામાં છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘નું અમરેલી તાલુકાના નાના ભંડારીયા અને માંગવાપાળમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને ઉષ્માભેર સ્વાગત થયું હતું. આ કાર્યક્રમ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર લાભ તેમજ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો “મેરી કહાની મેરી ઝુબાની”માં વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના માધ્યમથી સ્થળ પર આયુષમાન કાર્ડનું વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ સાંભળ્યો હતો.
નાના ભંડારીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ હતુ કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી લઈ જવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. આયુષમાન ભારત એ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરુ થયેલી એવી સ્વાસ્થ્ય કવચ યોજના છે જેમાં લાભાર્થીએ પ્રીમિયમની રકમ ભર્યા વગર તેને રુ. ૦૫ લાખ સુધીનો આરોગ્ય વિષયક લાભ મળતો હતો, આ કડીમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રુ.૦૫ લાખનું કવચ વધારીને રુ.૧૦ લાખનો લાભ નાગરિકોને આપ્યો છે, રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી આ નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક અભિવાદન પણ તેમણે કર્યુ હતુ.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરેંટી સાથેનો આ રથ ગામડે-ગામડે પરિભ્રમણ કરી રહ્યો છે. અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્થળ પર જ યોજનાઓની માહિતી અને લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે સૌ ગ્રામજનો વધુમાં વધુ સંખ્યામાં તેનો લાભ મેળવે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
કોરોના કાળથી સરકારે નિ:શુલ્ક રાશન વિતરણ શરુ કરવામાં આવી છે, આ યોજનાનો લાભ ૮૦ કરોડ નાગરિકોને મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ યોજના આગામી ૦૫ વર્ષ માટે લંબાવવામાં આવી છે. છેવાડાના માનવીને ઘરનું ઘર આપવાની યોજના સહિત વિવિધ ક્ષેત્રમાં પ્રતિબદ્ધ થઈ
સરકાર દ્વારા યોજનાકીય લાભો નાગરિકોને પહોચાડવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમના પ્રારંભે શ્રી પ્રવિણભાઈ માંગરોળીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતુ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપતું નાટક ‘ધરતી કરે પુકાર‘ રજૂ કરવામાં આવ્યું હતું. કૃષિ ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિદર્શન પણ આ તકે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, વિવિધ સમિતિના સભ્યો, ગામના સરપંચશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments