ભૂતકાળ માત્ર વાગોળવા માટે જ નથી હોતો પણ ભાવિ પથ દર્શન માટે પ્રેરણાસ્ત્રોત પણ હોય છે. ઈતિહાસ કદી પણ નષ્ટપ્રાય થતો નથી.. એટલે વર્તમાનને હમેશાં સુનિયોજિત કરવો. ૨૩ જાન્યુઆરી એટલે કે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સાવરકુંડલા શહેરની ભૂતકાળની યાદોએ સોનેરી સંસ્મરણો ભાવિ પથ દર્શનનું સોપાન કેટલીક વિસરાયેલી પળો એ સંસ્મરણો દ્વારા ગતરોજ તાજી થઈ. વાત હવે સાવરકુંડલા શહેરમાં આજથી સત્યાવીશ વર્ષ પહેલાંની કરવી છે. સાવરકુંડલા શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળનાં તત્કાલીન પ્રમુખ અ. નિ. ૫. પૂ. જ્ઞાનસ્વામીની પ્રેરણાં અને માર્ગદર્શન મુજબ આ સંસ્થાના શિક્ષકો બિપીનભાઈ પાંધી, યોગેશભાઈ પરમાર સમેત કર્મચારી ગણે આ સુભાષચંદ્ર બોઝનાં જીવન કવનને ઉજાગર કરી સાવરકુંડલા શહેરની જનતાને માહિતગાર કરવાનું એક અનોખું અભિયાન શરૂ કર્યું હતું.
આજથી સત્યાવીશ વર્ષ પૂર્વે ૨૩ મી જાન્યુઆરીનાં રોજ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલનાં બાળકોની વિવિધ રાષ્ટ્રીય સૂત્રો સાથેનાં બેનરો સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. આ દિવસે સાવરકુંડલા શહેરનાં તત્કાલીન પી. આઈ. દૂબે સાહેબની ઉપસ્થિતિમાં ગુરુકુળનાં ઘેલાણી સભાખંડમાં એક ભવ્ય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ દિવસથી દેશનાં મોટાભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવન કવનથી શાળાનાં બાળકોને પરિચિત કરી અને ઘણી વકતૃત્વ સ્પર્ધાઓ અને વેશભૂષા સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવતો હતો અને આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ પણ આપવામાં આવતાં હતાં. આમ સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા બાળકોને રાષ્ટ્ર ભક્તિનાં પાઠ ભણાવવામાં આવતાં અને દેશનાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું નિર્માણ કરવામાં આવતું. પ્રસ્તુત તસવીરો એટલે આજથી સત્યાવીશ વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ગુરુકુળનાં બાળકોની સુભાષબાબુના જન્મ શતાબ્દી નિમિત્તે યોજાયેલી જાહેર રેલીની છે.
Recent Comments