પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે હોસ્પિટલનું ખાતમુહુર્ત કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા
પાલીતાણાની વાળુકડ ગામની લોક વિદ્યાલય ખાતે શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત-ગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના હસ્તે હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, લોકોને ઘર આંગણે જ આરોગ્યની
શ્રેષ્ઠ સેવાઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબધ્ધ છે. વાળુકડ ગામે આજે હોસ્પિટલનું ખાતમુહુર્ત કર્યું છે તેનું લોકાર્પણ પણ ખૂબ જ ટૂંકા સમયગાળામાં કરવામાં આવશે. મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, રૂ. ૫ કરોડના ખર્ચે નવી હોસ્પિટલ નિર્માણ પામશે. જેમાં ૨૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હોસ્પિટલમાં મોબાઈલ ક્લિનિક, ઈમરજન્સી સેવા, મેડિકલ સેવા પુરી પાડવામાં આવશે.
આ હોસ્પિટલ થકી વાળુકડ ગામના લોકોને તો લાભ મળશે પરંતુ તેની આસપાસના ૨૫ ગામોને પણ આરોગ્યની સેવાનો લાભ મળી રહેશે. તેમણે ઉમેર્યું કે, સાચી જાણકારીના અભાવે ઘણાં લોકો સારવાર કરાવી શકતાં નથી, જો સમયસર સારવાર અને નિદાન કરાવવામાં આવે તો ઘણાં રોગોથી મુક્તિ મેળવી શકાય છે. વાળુકડની લોકવિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી નાનુભાઈ શિરોયા, માયલાન લેબોરેટરી લિ.ના હેડ સુશ્રી મિશેલ ડોમીનિકા, શ્રી અરૂણ શર્મા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ઘનશ્યામભાઈ શિહોરા, આચાર્ય શ્રી મુકેશભાઈ પટેલ સહિત વાળુકડ ગામના ગ્રામજનો તેમજ લોકવિદ્યાલયના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments