ગુજરાત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ

રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી ગાંધીનગર શહેરમાં દોઢ મહિનામાં અંદાજીત રૂ.૧.૪૪ લાખની ૨૫,૬૦૬ યુનિટ વીજળીની બચત થઈ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ સૂચવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જળ બચાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્યની તમામ સરકારી બિલ્ડીંગોમાં વોટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટી, કોલેજ તેમજ શાળાઓમાં વોટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તો મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને ભૂગર્ભ જળ ઊંચા લાવી શકાય.
રાજ્યપાલશ્રીએ અધિકારીઓને રાજ્યમાં વીજળીની મહત્તમ બચત તે માટે જરૂરી પગલાં ભરવા અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.

રાજ્યપાલશ્રીના સૂર્યોદય અને સૂર્યાસ્તના થોડા સમય પેહલા અને બાદ સ્ટ્રીટ લાઈટ ચાલુ-બંધ કરવાના માર્ગદર્શનના પરિણામ સ્વરૂપે ગાંધીનગર શહેરમાં માત્ર દોઢ મહિના જેટલા સમયગાળામાં અંદાજીત રૂ.૧.૪૪ લાખની ૨૫,૬૦૬ યુનિટ વીજળીની બચત થઈ છે. જાે આવી જ રીતે સમગ્ર રાજ્યમાં વીજળી બચાવવાનું કામ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બચત થઈ શકે તેવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી.આર.પટેલિયા, માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જીનીયર શ્રી પતંજલિ મિશ્રા, વિદ્યુત વિભાગના ચીફ એન્જીનીયર શ્રી ઓઝા, રાજ્યપાલશ્રીના ગૃહ નિયામકશ્રી એ.કે. જાેશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts