અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંક્લન સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંક્લન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા અને ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં તેમના પ્રશ્નોનું જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં હકારાત્મક નિવારણ આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને જનપ્રતિધિશ્રીઓના પ્રશ્નોના નિવારણ માટે માર્ગદર્શન આપી દિશા-નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વર્તમાનમાં રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી ટેકાની ખરીદીના કેન્દ્રો પર ખરીદી માટે જરૂરી જણસના વજન અંગેની તમામ વિગતોનું એક માર્ગદર્શક બેનર મૂકવામાં આવે તેવું સૂચન કર્યુ હતું.

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા રાસાયણિક ખાતર વિતરણ સમિતિની બેઠકમાં નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ શ્રી પીપળીયાએ જિલ્લામાં ઉપલબ્ધ રાસાયણિક ખાતરના જથ્થા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં યૂરીયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડી.એ.પી અને તેના સમકક્ષ એન.પી.કે તેના પોષક તત્વો અંગે ખેડૂતોમાં જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી,

અમરેલી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ અને તેને સંલગ્ન વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પરિપત્રની જોગવાઈ મુજબ જ સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે લેવા માટે જણાવાયું છે.

આ બેઠકમાં સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી અતુલસિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા-લીલીયા, અમરેલી-કુંકાવાવ, વડિયા-બગસરા, ધારી-ખાંભા, રાજુલા-જાફરાબાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts