આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી-ર૦ર૫ના માસ દરમિયાન તા.૨૩/૧૨/૨૦૨૫ના વિનાયક ચોથ,
તા.૨૫/૧૨/૨૦૨૫ના નાતાલ, તા.૨૭/૧૨/૨૦૨૫ના ગુરુ ગોવિંદસિંહ જયંતિ, તા.૦૩/૦૧/૨૦૨૬ પોષી પુર્ણિમા,
તા.૧૦/૦૧/૨૦૨૬ના રામાનંદાચાર્ય જયંતિ, તા.૧૨/૦૧/૨૦૨૬ના સ્વામી વિવેકાનંદ જયંતિ તથા
તા.૧૪/૦૧/૨૦૨૬ ના મકરસંક્રાંતિ વગેરે તહેવારો-ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા
જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને
અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે
છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક
હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં
પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ જાહેરનામું બહાર પાડવું જરૂરી
જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) અન્વયે મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફરમાવેલ છે કે તા.૨૦/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત)
સુધી કોઈએ શસ્ત્ર, દંડા, તલવાર, છરી, કુંહાડી, ધારીયા, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા
બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન લઈ જવું નહીં. કોઈ પણ ક્ષયકારી અથવા
સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો લઈ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે
ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહીં તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લીધા
વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા
પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં. અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો
પોકારવા નહીં. ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ
મોલ, સિનેમા હૉલ કે ઓડિટોરિયમ કે નાટ્ય ગૃહ તથા ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.
આ હુકમ ફરજ પરના અઘિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ
નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અઘિકારી/કર્મચારી હથિયાર ઘરાવતા હોય તેને,
જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીથી
ઉત્તરતા દરજજાના ન હોય તેવા પોલીસ અઘિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને,
યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી અગર તો તેઓશ્રીએ નિયુકત
કરેલ અઘિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા
ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ
અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની પણ સજા થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ
બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં
અધિકારીને અધિકાર રહેશે.


















Recent Comments