નવી દિલ્હી ખાતે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ ‘વન નેશન, વન એગ્રીકલ્ચર, વન ટીમ’ની થીમ પર “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
આ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા. ૩ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રવ્યાપી “વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન” યોજાશે. જે દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ખેત ઉત્પાદકતા વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે.
આ કોન્ફરન્સમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને રવી પાકના વિવિધ અંદાજો રજૂ કર્યા હતા. સાથે જ, ગુજરાતમાં આ વર્ષે થયેલા કૃષિ વિકાસ, પાકની સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કોન્ફરન્સમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી અત્યાર સુધીમાં સામાન્ય વાવેતર વિસ્તારની દ્રષ્ટીએ ૯૭ ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. જ્યારે, બાકીના વિસ્તારમાં એરંડા અને તમાકુનું વાવેતર ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પાકની સ્થિતિ એકંદરે સારી છે અને આ વર્ષે પણ સારા ઉત્પાદનની અપેક્ષા છે. આ ઉપરાંત સારા વરસાદના પરિણામે રાજ્યના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જેના કારણે રવિ અને ઉનાળુ પાકનું સારું વાવેતર થવાની અને સારું ઉત્પાદન મળવાની આશા છે.
મંત્રી શ્રી પટેલે ભારત સરકારને સૂચન કરતા કહ્યું હતું કે, પ્રમાણિત બીજ કૃષિ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં ખરીફ-૨૦૨૫ સીઝનથી “સાથી” પોર્ટલ પર સર્ટિફિકેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધી ૮૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારનું રજિસ્ટ્રેશન થયું છે. બીજનું રિવેલીડેશન ઓછામાં ઓછું બે વાર કરવાની અને રિવેલીડેશન માટે બીજ ટેસ્ટિંગ સરકારી કે માન્યતા પ્રાપ્ત લેબમાં જ કરવાની મંજૂરી આપવા મંત્રીશ્રીએ વિનંતી કરી હતી.
આ ઉપરાંત તેમણે ખાતર વિતરણ સંસ્થાઓને POS મશીનને બદલે ડેસ્કટોપ કોમ્પ્યુટર અને થમ્બ સ્કેનર પૂરા પાડવા માટે સૂચન કર્યું હતું, જેથી ખાતરનું વિતરણ ઝડપી અને સરળ બની શકે. આ કોમ્પ્યુટરનો ઉપયોગ અન્ય સરકારી યોજનાઓ માટે પણ થઈ શકે છે. નેટવર્ક ન હોય ત્યારે ઓફલાઇન ડેટા એન્ટ્રી કરવાની સુવિધા વિકસાવવા માટે પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ટેકાના ભાવે ખરીદી અંગે સૂચન કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતમાં સૌથી વધુ એટલે કે, ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સીઝન દરમિયાન ઘણીવાર એરંડાના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. જેથી કૃષિ ક્ષેત્ર અને આર્થિક દ્રષ્ટીએ મહત્વપૂર્ણ એરંડાના પાકને લઘુત્તમ ટેકાના ભાવની (MSP) યોજનામાં સામેલ કરવા માટે કૃષિ મંત્રીશ્રીએ ભારત સરકારને ભલામણ કરી હતી.
વધુમાં, મગફળી, ચણા અને સોયાબીન પાકના ઉત્પાદનના ૨૫ ટકાને બદલે ૫૦ ટકા ઉત્પાદનની MSP હેઠળ ખરીદી કરવાની જોગવાઈ કરવા પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ રેકોર્ડબ્રેક રાજ્યના ૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે અરજી કરી છે. જેથી ખરીફ સીઝનમાં POS મશીન વગર જ MSP હેઠળ મગફળીની ખરીદી કરવા પણ મંત્રીશ્રીએ વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે ખેડૂતોની નોંધણી વધારવા માટે કૃષિ વિભાગની યોજનાઓનો લાભ લેતી વખતે, ખાતર ખરીદતી વખતે અને KCC હેઠળ કૃષિ લોન લેતી વખતે ખેડૂત નોંધણી ફરજિયાત કરવાનું પણ સૂચન કર્યું હતું.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કોન્ફરન્સમાં ગુજરાત સરકારે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા શરુ કરેલા નવીન પહેલ “કૃષિ પ્રગતિ” ડિજિટલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ તેમણે, રાજ્યના આદિવાસી ખેડૂતો માટે PPP મોડેલ પર શરુ કરાયેલી “કિસાન રથ” નામની નવી યોજનાની માહિતી આપી કહ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં કૃષિ વિસ્તરણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રસંગે વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ, ભારત સરકારના કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ રાજ્યોમાંથી સંમેલનમાં સહભાગી થવા પધારેલા કૃષિ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments